આબરૂના ભડાકા અટકાવવા સ્માર્ટ સિટીનું લોકાર્પણ અંતે રદ
- લાલન પાલનમાં કરાયેલા રાજકીય નિર્ણયમાં કોર્પોરેશનના શાસકોની પીછેહઠ
- વડાપ્રધાનને વહાલા થવાની લહાયમાં અધુરી યોજનાઓની અર્પણવિધિમાં કોનું દોઢ ડહાપણ?
રાજકોટમાં આગામી તા.25ના રોજ વડાપ્રધાનના હસ્તે એઇમ્સ મેટરનિટી એન્ડ ચાઇલ્ડ બિલ્ડીંગ સીટી સ્કેન સેન્ટર સહીતના લોકાર્પણો ફાઇનલ થઇ ગયા છે. પરંતુ રાજકીય લાલનપાલનમાં મહાનગરપાલિકા દ્વારા નકકી કરાયેલા સ્માર્ટસિટી તથા અટલ સરોવરના લોકાર્પણ રદ કરવામાં આવ્યા છે.
રાજકોટ સ્માર્ટ સિટી અને અટલ સરોવરના કામો હજુ અધુરા હોવા છતા મહાનગરપાલિકાના શાસકો દ્વારા વડાપ્રધાનને વહાલા થવા લોકાર્પણનું ‘ચોગઠું’ ગોઠવવામાં આવ્યું હતું પરંતુ ગત તા.16ના રોજ ‘ગુજરાત મિરરે’ સ્માર્ટસિટી અને અટલ સરોવરના કામો હજુ અધુરા હોવાનો સચોટ અહેવાલ પ્રસિધ્ધ કરતા તંત્ર દોડતુ થયું હતું અને જિલ્લા કલેકટર મારફત પી.એમ. કાર્યાલયને વાસ્તવીક રિપોર્ટ મોકલવામાં આવતા અંતે સ્માર્ટ સિટી અને અટલ સરોવરના લોકાર્પણ પડતા મુકાયા છે.
રાજકોટમાં રાજકીય સમિકરણો બદલાયા બાદ પાવરમાં આવેલા ભાજપના જ લોકાર્પણના કાર્યક્રમમાં મહાનગરપાલિૂકાના સ્માર્ટસિટી અને અટલ સરોવરના લોકાર્પક્ષ ગોઠવવા ભારે મહેનત કરી હતી. પરંતુ અધુરા પ્રોજેકટોનું લોકાર્પણ કરવામાં આવે તો આબરૂના ભડાકા થાય તેમ હોય, વાસ્તવિકતાનું ભાન થતા અંતે આ બન્ને પ્રોજેકટના લોકાર્પણ માંડી વાળવામાં આવ્યા છે. જો કે કોની સલાહથી લોકાર્પણનું દોઢ ડહાપણ કરાયુ હતું તે ચર્ચાનો વિષય બનેલ છે.
મહાનગર પાલિકાના રાજકારણમાં પાવરમાં આવેલા નવા જુથ માટે આ પ્રથમ પીછેહઠ માનવામાં આવે છે. અતિ ઉત્સાહમાં આવી કરેલી જાહેરાતમાં પીછેહઠ કરવાથી આબરૂ પણ ગઇ છે અને વિરોધીજુથને મનમાં મલકાવાનો મોકો મળી ગયો છે.