ઝનાનામાં લેડી ડોક્ટરે પ્રસુતાને ધબ્બા માર્યા?
કેથેટર મૂકવાની દર્દીએ ના પાડતા તબીબે પિત્તો ગુમાવ્યો, પોલીસ બોલાવતા લેડી ડોક્ટર ગુમ
વિવાદોના વમળમાં રહેતી સિવિલ હોસ્પીટલ બાદ હવે શહેરની ઝનાના હોસ્પિટલ પણ તઘલખી તબીબી સ્ટાફને લીધે વગોવાઇ રહી હોવાના બનાવો બની રહ્યા છે. ચાર દિવસ પહેલા ઝનાના હોસ્પીટલમાં ભાયાવદરની પ્રસુતા સાથે ફરજ પરના મહીલા તબીબે દાખવેલા અમાનવિય વર્તનની જાણકારોમાં ટીકા થઇ રહી છે. બનાવ બાબતે પ્રસુતાના પતિએ પોલીસને જાણ કરતા તા.18/7/24 થી ગેરવર્તન કરનાર મહીલા તબીબ ભુગર્ભમાં ઉતરી ગયાનું પ્રસુતાના પતિએ જણાવ્યું હતું.
બનાવની મળતી વિગતો મુજબ ભાયાવદરના અનુસુચિત જાતિના સંજયભાઇ સોલંકીના પત્ની રાધિકાબેનને પ્રસવ વેદનાની સારવાર માટે ગત તા.18ના રોજ ઝનાના હોસ્પીટલમાં દાખલ કરાયા હતા. જો કે 7 માસનો ગર્ભ હોવાથી અને આંચકી જેવી બિમારીની સારવાર લેવાનું માની રાધિકાબેનને ઝનાનામાં દાખલ કરાયા હતા.
દરમિયાન રાધિકાબેનને સારવારમાં યુરિનલ નળી મુકવાની થતી હોય ફરજ પરના તબીબે તે અંગેની સારવાર શરૂ કરવાનું કહેતા રાધિકાબેને ના પાડતા દર્દીની હાલત સમજવાને બદલે મહીલા તબીબે ધડાધડ બે ધબ્બા રાધિકાબેનને મારી દીધા હોવાનું સંજયભાઇ સોલંકીએ જણાવ્યું હતું.
દરમિયાન પીસીઆર વાનને બોલાવાતા પ્રસુતા સાથે ગેરવર્તન કરનાર મહીલા તબીબ રફુચક્કર થઇ ગયાનુું રાધિકાબેનના પતિ સંજય સોલંકીએ ‘ગુજરાત મિરર’ને જણાવ્યું હતું.
પ્રસુતાના પતિએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ફરજ પરના મહિલાએ ‘તમારે મરવું જ હતું તો અહીં શું કામ આવ્યા? ઘરે મરવું’તુંને’ તેવા અણછાજતા શબ્દો ઉચ્ચારી માનવતા કોરાણે મુકી હતી. જાણકારોમાં આ બનાવની ભારે ચકચાર જાગી છે.