ભાંગ પી જતાં બે યુવકની તબિયત લથડી
- બન્ને યુવાનોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડયા
આજે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ઠેર ઠેર મહાદેવ મંદિરોમાં ભાંગની પ્રસાદી આપવામાં આવે છે ત્યારે અમુક વાર ભાંગની પ્રસાદીને લઈ અમુક લોકોની તબિયત બગડી જવાના બનાવો બની ચુકયા છે ત્યારે આજે રાજકોટમાં ભાંગની પ્રસાદી લીધા બાદ બે વ્યક્તિને તબિયત લથડતાં તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં.
વધુ વિગતો મુજબ, શહેરના મોરબી રોડ પર સેટેલાઈટ ચોકમાં રહેતા દિલીપભાઈ લાલજીભાઈ મનવાણી નામના 38 વર્ષના સિંધી યુવાન આજે બપોરે સાડા બાર વાગ્યે પોતાની રીક્ષા લઈ ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા એક મંદિરે દર્શન કરવા ગયા હતાં ત્યારે ત્યાં તેમને ભાંગની પ્રસાદી લીધા બાદ તુરંત તબિયત લથડતાં તેઓ બેભાન થઈ ગયા હતાં અને આજુબાજુના લોકોએ તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડયા હતાં. દિલીપભાઈને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આ બનાવથી તેમના પરિવારને પણ જાણ કરવામાં આવતાં તેઓ સિવિલ હોસ્પિટલે પહોંચી ગયા હતાં. જ્યારે બીજા બનાવમાં માર્કેટીંગ યાર્ડ પાસે આવેલી માલધારી સોસાયટીમાં રહેતા ભાવેશ ગોરધનભાઈ હડવદીયા નામના 34 વર્ષના પ્રજાપતિ યુવાન આજે બપોરે એક વાગ્યે ત્રંબા ગામે આવેલ મોહનધામ આશ્રમે હતાં ત્યારે તેઓ ભાંગની પ્રસાદી લેતાં તેઓ અચાનક ઢળી પડયા હતાં અને તેમને સારવાર માટે તુરંત રાજકોટની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં તેઓ ચાંદી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.