રૈયા રોડ પર શ્રીકુંજ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે શોર્ટ સર્કિટથી આગ ભભૂકી
- પોલીસ ફાયર બ્રિગેડ અને પીજીવીસીએલની ટીમો દોડી ગઇ, વૃદ્ધાને ગૂંગળામણ થતાં સારવારમાં ખસેડાયા, તમામ ફલેટધારકો આખી રાત રસ્તા પર રહ્યા
શહેરના રૈયા રોડ પર પેરેડાઇઝ હોલ પાસે આવેલા શ્રીકુંજ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે ફલેટમાં ગતરાતે શોર્ટ સર્કિટથી આગ ભભુકી ઉઠી હતી. બનાવની જાણ થતા પોલીસ ફાયર બ્રિગેડ અને પીજીવીસીએલની ટીમો દોડી ગઇ હતી. આગ લાગતા ફલેટધારકો જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા અને આખી રાત રસ્તા ઉપર વિતાવવી પડી હતી. આ બનાવમાં ફલેટમાં ફસાયેલા વૃધ્ધાને ગુંગળામણ થતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.
જાણવા મળતી વિગત મુજબ રૈયા રોડ પર આવેલા પાંચ માળના શ્રીકુંજ એપાર્ટમેન્ટમાં ગત રાતે 11 વાગ્યાના અરસામાં ત્રીજા માળે ફલેટમાન આગ ભભુકી ઉઠી હતી. ફલેટમાં વૃધ્ધા એકલા જ ઘરે હોય પરિવારજનો બહારથી આવતા ધુમાડા નીકળતા હોય જેથી ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ફાયટર સાથે સ્ટાફ દોડી ગયો હતો. ફલેટમાં હંસાબેન નામના વૃધ્ધા અંદર હોય જેમને બહાર કાઢી ગુંગળામણ થતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આગને પગલે અન્ય ફલેટ ધારકોમાં દોડધામ મચી જવા પામી હતી અને તમામ લોકો એપાર્ટમેન્ટમાંથી બહાર આવી ગયા હતા. ફાયર બ્રિગેડની સાથે પોલીસ અને પીજીવીસીએલની ટીમો પણ દોડી ગઇ હતી.એપાર્ટમેન્ટનો વીજ પુરવઠો બંધ કરી બાદમાં ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.આગમાં ફલેટમાં પંખા, એસી, સોફાસેટ, પીઓપી, ફ્રીઝ સહીતનો મુદામાલ બળીને ખાખ થઇ જતા અંદાજે પાંચ લાખનું નુકસાન થયું હતું. આગની ઘટનાના પગલે 20 જેટલા ફલેટ ધારકોએ આખી રાત રસ્તા ઉપર પસાર કરવી પડી હતી. શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન સેવાઇ રહ્યું છે.