સરકારની બેધારી નીતિ સામે રસ્તા ઉપર ઉતરવાની માલધારીઓની ચીમકી
ગુજરાત સરકાર દ્વારા રખડતા ઢોર નિયંત્રણ પોલિસીનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. આ પોલિસીમાં સરકારની બેધારી નીતિ હોવાનો પશુપાલકોનો આરોપ છે. જેના કારણે છેલ્લા કેટલાક સમયથી પશુપાલકો લડત ચલાવી રહ્યાં છે. એવામાં આગામી દિવસોમાં પશુપાલકોએ જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
પશુપાલન બચાવો સમિતિના પ્રમુખ નાગજી દેસાઈએ જણાવ્યું કે, પશુપાલકો સામેની ગુજરાત સરકારની બેધારી નીતિ ખુલ્લી પડી ગઈ છે. ભાજપ સકારમાં પશુપાલકો દિનપ્રતિદિન બેરોજગાર બની રહ્યાં છે. એકતરફ અઢળક ગાયો મોતને ભેટી રહી છે, તો બીજી તરફ તમારી (સરકારની) રહેમનજર હેઠળ બે પગવાળા આખલા ગૌચરોની જમીન ચરીને લીલાલહેરમા છે. ગાયોનું પાપ કરીને ઉદ્યોગપતિઓએ મેળવેલી ખુરશી અને ગાયોના નામે લીધેલા મતનો હિસાબ ભગવાન ચોક્કસ કરશે.
રાજ્યની 56 નગરપાલિકા અને 8 મહાનગર પાલિકામાં પોતાના ઘર કે વરંડામાં પશુ રાખી નથી શકતો. પશુપાલકો પાસે પોતાના ઘરનું ટેક્સ બિલ, લાઈટબિલ હોવા છતાં પશુનું લાઈસન્સ આપવામાં નથી આવતુ. તમામ દસ્તાવેજ હોવા છતાં માત્ર દૂધવાળાને જ લાઈસન્સ ના મળે, જ્યારે અન્ય તમામ વેપારી વર્ગને ટેક્સ બિલ અને લાઈટબિલના આધારે લાઈસન્સ મળે, તેવી બેધારી નીતિ તમારી ખુલ્લી પડી ગઈ છે.
હાલનાં તબક્કે પશુપાલકો દ્વારા ગુજરાત સરકાર સામે નાના-મોટા આંદોલન રૂૂપી કાર્યક્રમો ચાલી રહ્યા છે. આગામી દિવસોમાં અતિભારે મહારેલી તેમજ અસંખ્ય પશુપાલકો તમારા દ્વારે બેધારી નીતિ ખુલ્લી પાડવા પહોંચશે. જો પશુપાલકોની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો આગામી સમયમાં અસંખ્ય પશુપાલકો રોડ પર ઉતરશે.