પિતાએ મોબાઇલનો ઉપયોગ ઓછો કરવાનું કહેતા દીકરીએ ઝેરી દવા ગટગટાવી દુનિયા જ છોડી દીધી!
ટેક્નોલોજીના યુગમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: વહાલી દીકરીનું અવસાન થતા પરિવારજનો તેમજ મિત્રવર્તુળમાં ઘેરોશોક
આજનાં દોડધામ ભર્યા જીવનમાં માતા-પિતા બાળકો પર પૂરતું ધ્યાન આપી શકતા નથી. જેને લઈ માતા-પિતાનો બાળકો પર કોઈ અંકુશ રહેતો નથી. ત્યારે માતા-પિતા દ્વારા બાળકો કોઈ ભૂલ કરે તો તેઓને ઠપકો આપતા હોય છે. જેથી બાળકોને લાગી આવતું હોય છે અને તેઓ આડું અવળું પગલું લઈ બેસે છે. ત્યારે આવો જ એક બનાવ સુરતનાં કામરેજમાં બનવા પામ્યો હતો. જેમાં મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ન કરવા બાબતે યુવતીને કહેતા યુવતીને માઠું લાગતા યુવતીએ આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.સુરતનાં કામરેજ ખાતે સુદર્શન સોસાયટીમાં રહેતી 22 વર્ષીય યુવતી મોબાઈલનો અતિશય ઉપયોગ કરતી હોવાનું પરિવાર જનોનાં ધ્યાને આવ્યું હતું. જે બાદ પરિવારજનો દ્વારા યુવતીને મોબાઈલનો ઉપયોગ ઓછો કરવાનું કહ્યું હતું. જેને લઈ યુવતીને માઠું લાગતા યુવતીએ ઘઉંમાં નાંખવાની દવા પી લીધી હતી.
યુવતીએ ઝેરી દવા પી લીધી હોવાની જાણ પરિવારજનોને થતા પરિવારજનોએ યુવતીને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં યુવતીનું ટૂંકી સારવાર દરમ્યાન મોત થયું હતું. મૃતક યુવતીનું નામ તૃપ્તિકુમારી જયસુખભાઈ પાધડાળ હોવાનું જાણવા મળ્યું હતું. આ સમગ્ર મામલે કામરેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.સુરતમાં પરિવારને વ્હાલસોયી દીકરીનું અચાનક જ અવસાન થતા પરિવારજનો તેમજ મિત્ર વર્તુળમાં શોક છવાઈ જવા પામ્યો હતો. ત્યારે આ સમગ્ર બાબતે કામરેજ પોલીસે યુવતીની લાશને પીએમ અર્થે મોકલી હતી.