ચૂંટણી આવી રાહત લાવી: જંત્રીદર વધારો 1 વર્ષ મોકૂફ
ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોઈ વિરોધ થાય તો નુક્સાનનો ભય: હાલમાં લાગુ દર યથાવત્ રાખી આવતા વર્ષે નિર્ણય લેવાશે
ગુજરાતમાં મે-2023માં જમીન મકાનની જંત્રીના દરો ડબલ કરવામાં આવ્યા બાદ હવે ફરી જંત્રીદરો વધારવાની કવાયત વચ્ચે એવા અહેવાલો મળી રહ્યા છે કે, રાજ્યમાં સ્થાનિક સ્વરાજની આગામી ડિસેમ્બરમાં યોજાનાર ચૂંટણીઓ ધ્યાને લઈને જંત્રી વધારો એક વર્ષ મોકુફ રાખવાનો નિર્ણય લેવાયેલ છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે ભાંગીપડેલા રસ્તા અને માલ-મિલ્કતોને નુક્શાનને લઈને લોકોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. ત્યારે જંત્રીના દરો વધારવાનું જોખમ નહીં લેવાનો સરકારમાં ઉચ્ચકક્ષાએ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે.
જો કે, જંત્રીદર વધારો પાછળ ઠેલવા માટે હજુ રિવાઈઝડ જંત્રી માટેની કામગીરી અને સરવે ચાલી રહ્યો હોવાથી અને આ પ્રક્રિયામાં વિલંબ થવાનું જણાવાઈ રહ્યું છે.રાજ્ય સરકારે ડિસેમ્બરમાં સ્થાનિક નાગરિક સંસ્થાઓની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સમગ્ર ગુજરાતમાં 100% જંત્રી વધારાના અમલીકરણને 2025 સુધી મુલતવી રાખ્યું છે જેથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ વિરોધનો સામનો ન કરવો પડે.
જંત્રીના દરોને તર્કસંગત બનાવવાની રાજ્ય સરકારની યોજનામાં અનેક રાજકીય અવરોધોનો સામનો કરવો પડ્યો છે. પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં, આ વર્ષે તેનો અમલ થાય તેવી શક્યતા નથી. મહેસૂલ વિભાગના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ડિસેમ્બરમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજાશે, જેમાં નવા તર્કસંગત જંત્રી દરો ચૂંટણી પછી જ અમલમાં આવશે તેવી અપેક્ષા છે.
વધુમાં, કેન્દ્ર સરકારની ભલામણોને પગલે રાજ્ય સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી ઘટાડવાનું પણ વિચારી રહ્યું છે. આ પગલાનો હેતુ જનતા પરના નાણાકીય બોજને હળવો કરવાનો છે.ગયા વર્ષે મે મહિનામાં રાજ્યના મહેસૂલ વિભાગે જંત્રીના દરો બમણા કર્યા હતા. જો કે, આ દરોમાં ઘણી વિસંગતતાઓ હતી. મહેસૂલ વિભાગે હવે દરોને વધુ સુસંગત અને સ્વીકાર્ય બનાવીને વૈજ્ઞાનિક સિદ્ધાંતો પર આધારિત દરખાસ્ત તૈયાર કરી છે. હાલમાં, અમુક મોંઘા વિસ્તારોમાં જંત્રીના દર અન્યોની સરખામણીએ ઓછા છે, જેને નવી જંત્રી લાગુ પાડીને સરખા કરવામાં આવશે. જેની રિવાઈઝ કરવાની કામગીરી શરૂઆતમાં ગયા વર્ષના ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા હતી, પરંતુ આ પ્રક્રિયામાં ધારણા કરતાં વધુ સમય લાગ્યો હતો.
કોરોના સંકટ બાદ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં એકધારી તેજી
ગુજરાતમાં કોરોના સંકટ બાદ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જબરજસ્ત તેજી જોવા મળી છે અને હજુ પણ આ તેજીનો દૌર ચાલી રહ્યો છે. તેમાં ગત મે 2023માં રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં કરાયેલ બમણો વધારો થોડા સમય માટે સ્પીડબ્રેકર સમાન બન્યો હતો પરંતુ આજ જંત્રી દર વધારા બાદ પણ જમીન મકાનનું બજાર બંબાટ ચાલી રહ્યું છે. જેના કારણે રાજ્ય સરકાર વધુ એક વખત સમગ્ર રાજ્યમાં જંત્રીનો સર્વે કરાવી નવી જંત્રી લાવવા આયોજન કરી રહી છે. આ માટે વખતો વખત બિલ્ડર એસોસીએશન અને અન્ય નિષ્ણાંતો સાથે બેઠક પણ યોજવામાં આવી હતી. જો કે લોકસભાની ચૂંટણીમાં એક બેઠક ગુમાવ્યા બાદ સર્જાયેલી રાજકીય સ્થિતિ અને આગામી દિવસોમાં યોજાનાર સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીઓ ધ્યાને લેતાં હાલ રાજ્ય સરકારે જંત્રી દર વધારો નહીં કરવાનો નિર્ણય લીધાનું આધારભૂત સુત્રો જણાવી રહ્યાં છે.