દસ્તાવેજના નવા નિયમો કલાકોમાં પાછા ખેંચાયા
- તૈયાર કરનારના નામ-સરનામા-વ્યવસાય-મોબાઇલ નંબર લખવાનું માંડી વળાયું
કોઈપણ પ્રોપર્ટી એટલેકે, મિલ્કતની ખરીદી કરતી વખતે સૌથી અગત્યના હોય છે તેના દસ્તાવેજ. એ પુરાવો જેના આધારે તમે પોતાનો મિલકત પરના હકનો દાવો ગમે ત્યાં કરી શકો છો. હાલમાં જ દસ્તાવેજના સંદર્ભમાં સરકારે નવો નિયમ બનાવ્યો હતો. જોકે, બે દિવસમાં જ અભી બોલો અભી ફોક...ની જેમ સરકારે આ નિયમ રદ કરી દીધો છે. ગણતરીના કલાકોમાં જ સરકારે દસ્તાવેજ અંગેનો પરિપત્ર રદ કરી દીધો છે.
આગામી 1 એપ્રિલથી રાજ્યભરમાં દસ્તાવેજ નોંધણીના નિયમમાં ફેરફાર કરતો નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલો પરિપત્ર ગણતરીના દિવસોમાં દૂર કરી દેવાયો છે. અગાઉના પરિપત્ર મુજબ દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, વ્યવસાય અને મોબાઇલ નંબર આપવા ફરજિયાત દર્શાવાયું હતું જે અંગેની સૂચના રદ કરી દેવાની ફરજ સરકારને પડી છે.
રાજ્ય સરકારના આ પરિપત્રનો વિરોધ થયો હતો અને દસ્તાવેજ તૈયાર કરનારાઓ દ્વારા સરકારમાં રજૂઆત પણ કરવામાં આવી હતી જેના આધારે સરકારે આખરે નમવું પડયું હતું અને દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું અને - વ્યવસાય તેમજ મોબાઈલ નંબર - આપવાનું ફરજિયાત હતું તેને રદ કરી દેવામાં આવ્યું છે. દસ્તાવેજ નોંધણી માટેના નવા સુધારા માટેનો ને નવો પરિપત્ર તાબડતોબ સરકાર દ્વારા જાહેર કરી દેવાયો હતો.
દસ્તાવેજની નોધણી માટે દસ્તાવેજ તૈયાર કરનારાઓની વિગતો પણ આપવાની જોગવાઈ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. પરંતુ તેનો વિરોધ થતાં આખરે તે જોગવાઈ રદ કરી દેવામાં આવી છે.
એટલું જ નહી પરંતુ દસ્તાવેજમાં સહી - કરનાર તેમજ તેની તૈયારીમાં ભાગ લેનાર બંને સજાપાત્ર છે તેવી જોગવાઈ અમારી જાણમાં છે તેનો ઉલ્લેખ હતો તેમાં પણ સુધારો કરી લેવાયો છે.ઉલ્લેખનીય છે કે, દસ્તાવેજ નોંધણી સમયે અત્યાર સુધી કોઈપણ દસ્તાવેજ રજૂ કરતી વ્યક્તિએ દસ્તાવેજ ઉપર પોતાનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અને આંગળાની છાપ લગાડવાની તેમજ નોંધણી અર્થે રજૂ થતા સ્થાવર મિલકતની તબદિલીના લેખ સંબંધમાં દરેક લખી આપનાર અને લખાવી લેનારની અંગુઠાની છાપ તથા પાસપોર્ટ સાઇઝના ફોટા લગાડવાની જોગવાઈ કરવામાં આવી હતી.