ગોંડલ ચોકડી ઓવરબ્રિજ ઉપર ટ્રક પાછળ થાર ઘૂસી જતાં પાડાસણના યુવાનનું મોત
ગોંડલ ચોકડી ઓવરબ્રીજ ઉપર મોડી રાતે ટ્રક પાછળ થાર ઘુસી જતા પાડાસણનાં યુવાનનું મોત નીપજયું હતું. મિત્રના માતાનું અવસાન થતા ત્રણ મિત્રો લૌકિક ક્રિયામાંથી પરત આવતા હતા ત્યારે ઓવરબ્રીજ ઉપર સ્પીડબ્રેકર નહીં દેખાતા અકસ્માત સર્જાયો હતો.આ બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટ તાલુકાના પાડાસણ ગામે રહેતો અજય જયંતીભાઇ રાઠોડ (ઉ.વ.23) નામનો યુવાન તેના મિત્રના માતાનું અવસાન થયું હોવાથી અન્ય મિત્રો રાહુલ સુરેશભાઇ પરમાર અને ઘનશ્યામ સાથે થાર ગાડી લઇ ગઇકાલે લોધીકાના પીપર ગામે લૌકિકે ગયા હતા.જયાંથી પરત આવતા સાથે આવેલા રાજકોટમાં આંબેડકરનગમાં રહેતા અન્ય એક મિત્રને ઘરે ઉતારી 150 ફુટ રીંગરોડ પર થઇ પરત પાડાસણ ગામે જવા નિકળ્યા હતા.
દરમિયાન અજય થાર ગાડી ચલાવતો હતો અને પુનીતનગર પાણીના ટાંકા થઇ ગોંડલ ચોકડી ઓવરબ્રીજ ઉપર ચડતા ગાડી સ્પીડમાં હતી અને સ્પીડબ્રેકર આવતા થાર ઉપરનો કાબુ ગુમાવતા થાર ઓવરબ્રીજની દિવાલ સાથે અથડાયા બાદ આગળ જતાં ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.જેમાં કાર ચાલક અજય રાઠોડને ગંભીર ઇજા થતા બેભાન હાલતમાં 108 મારફત સિવિલ હોસ્પીટલમાં ખસેડાતા તેમનું મોત નિપજયું હતું.
પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઇમાં નાનો અને તેને સંતાનમાં દોઢ વર્ષનો પુત્ર છે. હાલમાં તેની પત્નીને સારા દિવસો ચાલી રહ્યા છે ત્યારે બીજા સંતાનના જન્મ પહેલા જ પિતાનું મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.
આ અંગે માલવીયાનગર પોલીસે મૃતકના મિત્ર રાહુલ સુરેશભાઇ પરમાર (ઉ.વ.22)ની ફરીયાદ પરથી મૃતક અજય રાઠોડ સામે બેફીકરાઇથી થાર ચલાવી પોતાનું મોત નીપજાવવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.