પુનિતનગર આંગણવાડીના નાસ્તામાં ધનેડા નીકળ્યા
- આરોગ્ય વિભાગના મહિલા અધિકારીઓએ ફોન ઉપાડવાનું ટાળી જવાબદારીમાંથી છટકવાની કોશિશ કરી
મહાનગરપાલિકા દ્વારા મોટાભાગના વિસ્તારોમાં આંગણવાડી ચલાવવામાં આવી રહી છે ત્યાં દરરોજ નાના ભૂલકાઓને સરકારે નિયત કરેલ ભોજન પિરસવામાં આવી રહ્યું છે. પરંતુ અનેક વખત બન્યું છે તેમ આંગણવાડીના સંચાલકની બેદરકારીના કારણે આજે પુનિતનગર પાસેની આંગણવાડીના રાંધેલા ખોરાકમાં ધનેરાઓ નિકળતા દેકારો બોલી ગયો હતો અને આ મુદ્દે આરોગ્ય વિભાગના અમુક અધિકારીઓનો સંપર્ક સાધતા તેઓએ કોલ ન ઉપાડી જવાબદારીમાંથી છટકવાની કોશીષ કરી ભુલકાઓના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવાનું કૃત્ય કર્યુ હતું જેના કારણે આંગણવાડીમાં ભણતા બાળકોના વાલીઓમાં રોષ વ્યાપી ગયો છે.
શહેરના સેન્ટ્રલઝોન વિસ્તારમાં પુનિતનગરમાં આવેલ મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડીમાં આજે સવારે બાળકોને નાસ્તો આપવામાં આવેલ જેમાં ધનેરા હોવાની ફરિયાદ બાળકોએ કરતા અમુક બાળકોના વાલીઓએ સ્થળ ઉપર જઈ તપાસ કરતા રાંધેલા ભાતમાંથી ધનેરા નિકળેલા હોવાનું માલુમ પડ્યું હતું આથી આ બાબતે આંગણવાડી સંચાલકને ફરિયાદ કરતા તેમણે વ્યવસ્થીત જવાબ આપ્યો ન હતો. અને આ મુદ્દો શહેરભરમાં ચર્ચાનો વિષય બની જતાં આરોગ્ય વિભાગના આંગણવાડી સંભાળતા મહિલા અધિકારીનો સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડવાનું મુનાશીપ સમજ્યું ન હતું. અને નાના ભુલકાઓના આરોગ્ય સાથે થતાં ગંભીરચેડા તરફે આંખ આડા કાન કરવાની કોશીષ કરી હતી છતાં બાળકોના વાલીઓએ આ મુદ્દે ઉપરસુધી રજૂઆત કરવાની તૈયારી દર્શાવી જણાવેલ કે, આંગણવાડીમાં સંચાલન કરતા કર્મચારીઓ પોતાના ઘરે સાફ કરેલું ધાન્ય ખાય છે ત્યારે તેમને આ બાળકોની જવાબદારી સોંપવામાં આવી છે તો શા માટે આ પ્રકારની ગંભીર બેદરકારી કરવામાં આવી રહી છે. હાલ આરોગ્ય વિભાગ દ્વારા ધનેરા મુદ્દે ચુપ રહેવાનું મુનાશીપ સમજ્યું છે. પરંતુ વાલીઓ દ્વારા આ મુદ્દો કમિશનર સુધી પહોંચાડવામાં આવશે. તેમ જાણાવ મળેલ છે.