મહાપૂજાધામ ચોક પાસે ફૂટપાથ પરથી અજાણ્યા યુવાનની લાશ મળી
- તાલુકા પોલીસે દોડી જઈ મૃતદેહને પીએમમાં ખસેડયો : વાલીવારસની શોધખોળ
શહેરના 150 ફુટ રીંગ રોડ પર મહાપૂજાધામ ચોક પાસે ફુટપાથ પરથી અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી મૃતકની ઓળખ મેળવવા વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, 150 ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે આવેલા મહાપૂજાધામ ચોક નજીક ફુટપાથ પર અજાણ્યો યુવાન બેભાન હાલતમાં પડેલો હોય જાગૃત નાગરિક દ્વારા જાણ કરાતાં તાલુકા પોલીસ મથકના પીએસઆઈ ડીંડોર, વિક્રમભાઈ બકુત્રા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. 108ના ઈએમટીએ યુવાનને મરણ ગયાનું જાહેર કર્યુ હતું. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન આશરે 25 થી 30 વર્ષનો હોવાનું અને તેના જમણા હાથ ઉપર રાજુ ત્રોફાવેલું હોય યુવાન પરપ્રાંતિય જેવો લાગતાં હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક બિમારી સબબ મરણ ગયાનું ખુલવા પામ્યું છે. આ અંગે પોલીસે મૃતકની ઓળખ મેળવવા વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.