For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારાડી ભૂવાઓને ‘વશ’માં કરવા લવાયું કાળા જાદુ બિલ

05:40 PM Aug 22, 2024 IST | Bhumika
ભારાડી ભૂવાઓને ‘વશ’માં કરવા લવાયું કાળા જાદુ બિલ
Advertisement

6 માસથી લઇ 7 વર્ષ સુધીની કેદની સજા અને 5 હજારથી 50 હજાર સુધીના દંડની જોગવાઇ, મદદ કરનાર પણ ગણાશે ગુનેગાર

ખાસ વિજિલન્સ ઓફિસરની નિયુક્તિ થશે, બિનજામીનપાત્ર ગુનો ગણાશે, આરોપીની અટક કરવા માટે પોલીસને સીધી સત્તા

Advertisement

ગુજરાત વિધાનસભાના સત્રમાં જાદુટોના કરી અંધશ્રદ્ધા ફેલાવતા ભારાડી ભૂવાઓ ઉપર લગામ નાખતું વિધેયક ગઇકાલે મંજૂર કરવામાં આવ્યું હતું. જોકે, આ બિલ અને નવા કાયદાથી ભારાડી ભૂવાઓ અને અંધશ્રદ્ધાની દુકાનો ખોલીને બેઠેલા કહેવાતા ધર્માત્માઓ વશમાં આવશે કે કેમ? તે તો સમય જ બતાવશે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, રાજ્યમાં અંધશ્રદ્ધાનાં નામે હેરાન થતાં નાગરિકોને સુરક્ષિત કરવાનાં મક્કમ નિર્ધાર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક હાથે કામગીરી કરવા તથા આવી પ્રવૃત્તિઓને નાથવા માટે કાયદો લાવ્યા છે. માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ તેમ જ અઘોરી પ્રથા, કાળા જાદુ અટકાવવા આ નવો કાયદો લાવવામાં આવ્યો છે. આ વિધેયક ધર્મ અને અધર્મ વચ્ચેનો મહત્ત્વનો ભેદ સ્પષ્ટ કરશે, લોકોની શ્રદ્ધા અને આસ્થા જેમાં જોડાયેલી છે તેવી ધાર્મિક તમામ પ્રવૃત્તિઓ સન્માનીય છે.

આ વિધેયક વિધાનસભામાં રજૂ કરતા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતમાં કેટલાય પરિવારોએ પોતાનાં પરિવારનાં સદસ્યો અને પોતાનાં બાળકો અને ખાસ કરીને બહેન-દીકરીઓ આ કાળા જાદુ અને બીજી અમાનુષી પ્રવૃત્તિઓ દ્વારા ગુમાવ્યા છે. આ કાયદાથી કાળા જાદુ કરતા ઢોંગીઓ વિરૂૂદ્ધ કાર્યવાહી થશે અને આવી પ્રવૃત્તિઓ થકી ગુજરાતની ભોળી જનતાની સુરક્ષા માટે નક્કર કદમ સાબિત થશે. વધુમાં મંત્રીએ ઉમેર્યુ કે, રક્ષાબંધન પર્વની તાજેતરમાં જ સૌએ ઉજવણી કરી છે અને આ પર્વમાં ગુજરાતની બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી છે. સૌ બહેનોની સુરક્ષા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ કાયદો ભેટ સ્વરૂૂપે લાવવામાં આવ્યો છે.

ગૃહમાં કાળા જાદુ પર બિલ રજૂ કરતા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, કોઈ માનનીય સન્માનનીય ભુવાજીઓને આમાં સામેલ કરાયા નથી. જે પરંપરાઓ છે એમાં જાઓ તો એ ખોટું નથી. દોરો બાંધવો, દીવો કરાવવો જ્યારે બીજી તરફ વાળ બાંધી લટકાવવા, ગરમ સળિયા લગાવવા બન્નેને કેવી રીતે જોડી શકાય ? ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, ભુવજીઓ પ્રત્યે હાથ જોડીને વંદન જ હોય. ખોટા લોકો ખોટી આસ્થાને અલગ દિશામાં ન લઈ જાય એના માટે આ બિલ છે. શોષિત લોકોને બચાવવા માટે આ બિલ છે. આપડા રાજ્યનો એક પણ વ્યકિત ભોગ ના બને એનાં માટે આ બિલ છે.

આ કાયદાની જોગવાઇના ભંગ બદલ સજાની જોગવાઇ કલમ-3 માં કરી છે તેની વિગતો આપતા મંત્રીએ કહ્યું કે, આ કાયદાની જોગવાઇના ભંગ બદલ 6 માસથી લઇને 7 વર્ષ સુધીની કેદની સજા અને રૂૂ. 5 હજારથી લઇને રૂૂ. 50 હજાર સુધીનાં દંડની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત, ગુનામાં મદદ કરનાર અથવા આ પ્રકારનો ગુનો કરવાનો પ્રયત્ન કરનારને આ કાયદા હેઠળ ગુનો આચર્યો હોવાનું માની લેવામાં આવશે, અને તે મુજબ જ સજા કરવામાં આવશે. આ જ કલમ હેઠળ આ ગુનાને પોલીસ અધિકારનો અને બિન જામીનપાત્ર રહેશે, તેવી જોગવાઇ કરી છે. એટલે કે પોલીસને આ ગુના હેઠળ આરોપીને અટક કરવા માટેની સીધી સત્તા આપવામાં આવી છે.
આ કાયદાની કલમ-5 માં વિઝિલન્સ ઓફિસરની નિયુક્તિની જોગવાઇ કરવામાં આવી છે. વિઝિલન્સ ઓફિસર પોલીસ ઇન્સ્પેક્ટર કે તેનાથી ઉપલા સંવર્ગનાં રહેશે. વિઝિલન્સ ઓફિસરે પોતાનાં અધિકાર ક્ષેત્રનાં વિસ્તારમાં સૂચિત કાયદામાં જણાવેલા ગુનાઓ શોધી કાઢવા અને અટકાવવા, ભોગ બનનાર કે તેના પરિવારના સભ્ય દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કર્યા પછી તેના પર યોગ્ય અને ઝડપી કાર્યવાહી સુનિશ્ચિત કરવા અને સંબંધિત પોલીસ સ્ટેશનને જરૂૂરી સલાહ, માર્ગદર્શન અને મદદ આપવાની રહેશે. વિઝિલન્સ ઓફિસરની ફરજમાં અવરોધ કે બાધા કરનારને 3 માસની કેદ અથવા રૂૂ. 5 હજાર સુધીનાં દંડ સાથેની કેદની સજાની જોગવાઈ કરવામાં આવેલ છે, જેથી વિઝિલન્સ ઓફિસર પોતાનું કાર્ય સારી રીતે અને ઝડપથી કરી શકે.

આ અધિનિયમમાં શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની સંવેદનશીલ ભેદરેખામાં કોઇ મુશ્કેલી ઊભી થાય તો, રાજ્ય સરકાર આ કાયદાને કલમ-13 હેઠળ બે વર્ષની સમય મર્યાદામા હુકમ કરીને આ અધિનિયમની જોગવાઇ સાથે અસંગત ન હોય તેવી જોગવાઇ કરી શકશે, એટલે 2 વર્ષની મર્યાદામાં મુશ્કેલીઓ દૂર કરવાની જોગવાઇ કાયદામાં કરી છે. આ વિધેયક વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યુ હતું.

કયા પ્રકારના કૃત્યો ગુનો ગણાશે ?
1) માનવબલી, અઘોરી પ્રથા, કાળા જાદુ કે આ પ્રકારના અન્ય અમાનવીય, અનિષ્ટ કૃત્યોનું આચરણ, પ્રોત્સાહન, પ્રચાર- પ્રસાર.
2) ભૂત, ડાકણ કે દુષ્ટ આત્માને શરીરમાંથી બહાર કાઢવાના બહાને વ્યક્તિને દોરડા કે સાંકળથી બાંધીને, લાકડી કે ચાબુકથી માર મારીને, મરચાંનો ધુમાડો કરી અથવા વાળથી બાંધીને છત પર લટકાવી અથવા શરીર પર ગરમ પદાર્થથી ડામ આપવામાં આવે અથવા પગરખાં પલાળેલું પાણી પીવડાવી, માનવ મળમૂત્ર બળજબરીથી વ્યક્તિનાં મોઢામાં મૂકવામાં આવે વગેરે.
3) કહેવાતા ચમત્કારોનું પ્રદર્શન કરવું અને તેના દ્વારા પૈસા કમાવવા તેમ જ કહેવાતા ચમત્કારોનાં પ્રચાર અને પ્રસાર દ્વારા લોકોને છેતરવા.
4) દિવ્ય શક્તિની કૃપા મેળવવાનાં હેતુથી કે કિંમતી ચીજો, ખજાનો મેળવવા, અઘોરી કૃત્યો, કાળા જાદુનાં કૃત્યો કે અમાનવીય કૃત્યો કરી કોઇનાં જીવનને ભય કે ગંભીર ઇજા પહોંચાડવી.
5) અગમ્ય શક્તિનો પ્રભાવ છે કે આવી કોઈ શક્તિ છે તેવો બીજાના મનમાં ભય પેદા કરવો.
6) કોઈ વ્યક્તિ ડાકણ કે શૈતાનનો અવતાર છે તેની હાજરીથી ઢોરની દૂધ આપવાની ક્ષમતા ઘટે છે, તે દુર્ભાગ્ય લાવે છે કે રોગચાળો લાવે છે તેવા આક્ષેપો લગાડવા.
7) મંત્ર-તંત્રથી ભૂત-ચૂડેલને બોલાવવાની ધમકી આપી લોકોનાં મનમાં ભય ઊભો કરવો, કોઈ ભૂતપ્રેતનાં રોષથી શારીરિક ઈજાઓ કરવી.
8) કુતરું, સાપ કે વીંછી કરડવાનાં કિસ્સામાં કે અન્ય કોઈપણ માંદગીમાં વ્યક્તિને તબીબી સારવાર કરતા અટકાવવી અને દોરા, ધાગા, તંત્ર મંત્રથી સારવાર આપવી.
9) આંગળીઓ દ્વારા શસ્ત્રક્રિયા કરવાનો દાવો કરવો, અથવા સ્ત્રીનાં ગર્ભમાં રહેલા ગર્ભનું લિંગ બદલવાનો દાવો કરવો.
10) પોતાનામાં વિશેષ અલૌકિક શક્તિઓ હાજર છે, અને તેનો ભક્ત પાછલા જન્મમાં તેની પત્ની, પતિ અથવા પ્રેમી હતો, તેવું દર્શાવી આવી વ્યક્તિ સાથે જાતીય પ્રવૃત્તિમાં જોડાવવું.
11) અલૌકિક શક્તિ દ્વારા માતૃત્વની ખાતરી આપી ગર્ભધારણ કરવામાં અસમર્થ હોય તેવી સ્ત્રી સાથે જાતીય સંબંધો બાંધવો.

કઇ-કઇ પ્રવૃત્તિ ગુનો નહીં ગણાય ?
આ કાયદામાં કંઇ-કંઇ બાબતોનો સમાવેશ ગુનાહિત કૃત્યમાં થશે નહીં, તેની સ્પષ્ટતા કલમ-12 માં કરવામાં આવી છે જેમાં 1) પ્રદક્ષિણા, યાત્રા, પરિક્રમા, તેમ જ ઉપાસના, હરિપથ, કીર્તન, પ્રવચન, ભજન, પ્રાચીન અને પરંપરાગત વિદ્યાઓ અને કળાઓનો ઉપદેશ, તેનો અભ્યાસ, પ્રચાર, પ્રસાર તેમ જ મૃત સંતોનાં ચમત્કારો, ધાર્મિક ઉપદેશકોનાં ચમત્કારો કે જેનાથી શારીરિક ઈજા કે આર્થિક નુકસાન થતું નથી, તેના વિશે સાહિત્યનો પ્રચાર અને પ્રસાર કરવો 2) ઘર, મંદિર, દરગાહ, ગુરુદ્વારા, ચર્ચ અથવા અન્ય ધાર્મિક સ્થળો જેવા સ્થળોએ પ્રાર્થના, ઉપાસના અને તમામ ધાર્મિક વિધિઓ જેનાથી શારીરિક હાનિ કે આર્થિક નુકસાન થતું નથી તે કરવી. 3) તમામ ધાર્મિક ઊજવણીઓ, તહેવારો, પ્રાર્થનાઓ, સરઘસ અને તેને લગતા અન્ય કોઈ પણ કાર્યો, મન્નત, નવાસ, મોહરમ શોભાયાત્રા અને અન્ય તમામ ધાર્મિક વિધિઓ કરવી, ધાર્મિક વિધિઓ અનુસાર બાળકોનાં કાન અને નાક વીંધવા, કેશલોચન જેવી ધાર્મિક વિધિ કરવી તેમ જ વાસ્તુશાસ્ત્ર અને ભૂગર્ભજળના સ્ત્રોત લગતી સલાહ, જ્યોતિષીની સલાહ આપવી વિગેરે પ્રવૃત્તિ ગુનો ગણાશે નહિ.

મોઢવાડિયા-ચાવડા પર ભાજપે કાળો જાદુ કર્યો, કોરોનામાં થાળી વગાડવી અંધશ્રધ્ધા ગણાય?
ગુજરાત વિધાનસભામાં ગઇકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાળા જાદુ નિર્મુલન બિલ રજૂ કર્યું હતું. દરમિયાન, કોંગ્રેસ નેતા શૈલેષ પરમારે રમુજી ટીખળ કરતા કહ્યું કે, સી.જે.ચાવડા અને અર્જુન મોઢવાડિયા પર કાળો જાદુ કરાયો છે, જેથી તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. જ્યારે આ ટિપ્પણીનો જવાબ આપતા સી.જે. ચાવડાએ કહ્યું કે, ભાજપમાં જોડાઈને કોંગ્રેસનાં કાળા જાદુમાંથી છુટ્યો છું. આ રમૂજ ટીખળથી ગૃહમાં થોડા સમય માટે હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. બીજી તરફ જાદુ અંગેના બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે પ્રહાર કરતા કહ્યું કે, કોરોના સમયે દીવો કરવો, થાળી વગાડવી જેવી ક્રિયાઓ પણ અંધશ્રદ્ધાનો વિષય છે. કાયદો નહીં કડક કાર્યવાહીની જરૂૂર છે. ગુજરાતમાં દારૂૂબંધીનો કાયદો છે પણ સ્થિતિ શું છે તે સૌ કોઈ જાણે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement