નીલકમલ સોસાયટીમાં નાઘેડીના બે શખ્સોનો આતંક, દુકાન-કારમાં આગ ચાંપી
- જૂના મનદુ:ખથી આતંક મચાવ્યો: બન્ને સામે સિટી સી ડીવિઝન પોલીસમાં ગુનો
જામનગરમાં ખોડીયાર કોલોની નજીક નિલકમલ સોસાયટીમાં રહેતા એક વેપારી ની દુકાન તેમજ કારમાં આગ ચાંપી દેવાઇ હતી તેમજ અન્ય એક કારને પણ ઠોકર મારી નુકસાની કરવામાં આવી હતી, જે પ્રકરણમાં પોલીસની તપાસ બાદ સરમત અને નાઘેડી ગામના બે શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે, અને બંનેની શોધખોળ હાથ ધરાઈ છે. જૂના મનદુ:ખ ના કારણે આ કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
જામનગરમાં ખોડીયાર કોલોની નજીક નિલકમલ સોસાયટી પાછળ જાગૃતિ નગરમાં રહેતા નિર્મળસિંહ જગદીશસિંહ ઝાલા કે જેઓની માલધારી હોટલ નામની દુકાનની બહાર પેટ્રોલ છાટી દુકાન સળગાવવાનો પ્રયાસ કરાયો હતો, જયારે તેઓની ઘર પાસે પાર્ક કરવામાં આવેલી જી.જે.10 ડી.જે. 0150 ઉપર પેટ્રોલ છાંટી કાર સળગાવવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારબાદ આગજની કરવા માટે આવેલા શખ્સોએ પાડોશી જયેશભાઈ માંગલિયાની જીજે -3 કે.સી. 7436 નંબરની કારને પણ ઠોકર મારી નુકસાની પહોંચાડી હતી, અને ભાગી છૂટ્યા હતા.
આ બનાવ બાદ સીસીટીવી કેમેરા વગેરેની તપાસ દરમિયાન નાઘેડી ગામમાં રહેતા લાલભા પરમાર ઉર્ફે લાલિયો ઢીંગલી તેમજ સરમત ગામના સૂરિયો નવલસિંહ જેઠવા દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું અને જૂની અદાવત નું મન દુ:ખ રાખીને આગજની કરવામાં આવી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, તેથી સીટી સી. ડિવિઝન પોલીસે નિર્મળસિંહ ઝાલા ની ફરિયાદના આધારે બંને આરોપીઓ લાલિયો ઢીંગલી અને સૂર્યો નવલસિંહ સામે આઇપીસી કલમ 436,279,504,427 અને 144 મુજબ ગુન્હો નોંધ્યો છે, અને બંનેની શોધ ખોળ હાથ ધરી છે.