શંકરાચાર્યના મઠમાં અસામાજિક તત્ત્વનો આતંક : આગ લગાડી
- ઉશ્કેરણીજનક પત્રિકાઓ ફેંકી, શકમંદ CCTVમાં કેદ, ભરૂચ નદી કિનારે આવેલ છે મઠ
ભરૂૂચની નવચોકી ઓવારા ખાતે દ્વારકા શારદાપીઠ સંચાલિત શંકરાચાર્ય મઠમાં આજે પરોઢિયે અજાણ્યા શખ્સે આગ લગાડતા ચકચાર મચી છે. સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં આવેલા બુકાનીધારી શખ્સે મઠમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડી હતી. ત્યારબાદ પોતાની પાસે રહેલી ઉશ્કેરલણીજનક લખાણવાળી કાપલીઓ ઉછાળી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાના પગલે ભરૂૂચ પોલીસનો કાફલો મંદિર પર પહોંચ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. વહેલી સવારે આવેલો અજાણ્યો શખ્સ સીસીટીવીમાં કેદ થતા પોલીસે તેના આધારે તપાસ હાથ ધરી છે.
ભરૂૂચના નદી કિનારે દ્વારકા શારદાપીઠ સંચાલિત શંકરાચાર્ય મઠ આવેલો છે. આ સંકુલમાં મહાદેવના મંદિર પણ આવેલા છે. આજે વહેલી સવારે એક અજાણ્યો શખ્સો આવ્યો હતો. જેના દ્વારા મંદિર પરિસરમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડી હતી. આ શખ્સ દ્વારા ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવા લખાણવાળી કાપલીઓ પણ મંદિર પરિસરમાં ફેંકવામાં આવી હતી. ત્યારબાદ અજાણ્યો શખ્સ ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
આજે સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં બનાવ બન્યો છે. એક ઈસમે આવીને મઠ પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડી હતી. તેના સીસીટીવી ફૂટેજ આવ્યા છે. મેસેજ મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. અલગ અલગ ટીમો બનાવી તપાસ ચાલુ કરી છે. ગુનો દાખલ કરી દીધો છે. જેણે કૃત્ય કર્યું છે તેને પકડવા માટે પોલીસ કાર્યવાહી કરશે. તેમ એસ.પી.એ જણાવ્યું હતું.
દ્વારકા શારદાપીઠ સંચાલિત મઠમાં રહેતા મુક્તાનંદ સ્વામીએ કહ્યું હતું કે, આજે સવારે પાંચ વાગ્યે મંદિરની પૂજા કરીને સવા પાંચ વાગ્યે પરત આવ્યો અને મંદિરના બીજા ભાગમાં પૂજા કરી રહ્યો હતો ત્યારે સાડા પાંચ વાગ્યે મને જાણ થઈ કે બહાર એક વ્યક્તિ કંઈક છાંટીને ધમાલ કરતો હતો. હું ત્યાં ગયો ત્યાં સળગતા તેને ઓલાવવાનો પ્રયત્ન કર્યો. સીસીટીવ ફુટેજ જોતા ધ્યાનમાં આવ્યું કે, પાછલા ઓવારાથી પ્રવેશ કરી જ્વલનશીલ પ્રવાહી છાંટ્યું હતું અને પોતાની સાથે લાવ્યો હતો તેમાંથી કેટલાક કાગળો ઉછાળ્યા હતા ત્યારબાદ આગ લગાડીને જતો રહ્યો હતો. જે વ્યક્તિ આવ્યો હતો તે કંઈ બોલ્યો ન હતો. જ્યારથી મેં મઠનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી મારી સાથે ઈન્ટેશનલી ઝઘડા થતા આવ્યા છે.