શિક્ષકોને હવે ચૂંટણી સિવાયની કામગીરી નહીં સોંપાય
બિનશૈક્ષણિક જવાબદારીઓનો પરિપત્ર તાત્કાલિક રદ કરવા શિક્ષણ વિભાગને સૂચના: કામગીરી સોંપતા પહેલા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના અગ્ર સચિવની મંજૂરી ફરજિયાત
શિક્ષકોને શિક્ષણ સિવાયની અન્ય કામગીરી સોંપવામાં આવતી હોવાથી શિક્ષણ પર તેની અસર પડતી હોવાની અનેક વખત ફરિયાદ ઉઠી છે અને આવી બિનશૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ આપવા રજૂઆત અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. ત્યારે ઘેલા સોમનાથની ઘટના પરથી સરકારે જ્ઞાન લઇ અને શિક્ષોકને ચૂંટણી સિવાયની બિનશૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે.
ગુજરાતના શિક્ષકો માટે મોટા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે શિક્ષકોને શિક્ષણ સિવાયની બિનજરૂૂરી જવાબદારીઓથી મુક્ત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. શિક્ષણ રાજ્ય મંત્રીએ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશકુમાર સાથે ટેલિફોનિક વાતચીત કરી, શિક્ષકોને સોંપાયેલી બિનશૈક્ષણિક જવાબદારીઓનો પરિપત્ર તાત્કાલિક રદ કરવાની સૂચના આપી. આ નિર્ણયથી શિક્ષકો વિદ્યાર્થીઓના શિક્ષણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે, જે ગુજરાતના શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો લાવશે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારત સરકાર કે ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાએ નિર્ધારિત ચૂંટણી જેવી મહત્ત્વની ફરજો સિવાય, શિક્ષકોને અન્ય કોઈ જવાબદારી સોંપવામાં નહીં આવે. શિક્ષણ મંત્રીએ જણાવ્યું, વિદ્યાર્થીઓનું શિક્ષણ એ આપણી પ્રાથમિકતા છે, અને શિક્ષકોની ભૂમિકા તેમાં કેન્દ્રસ્થાને છે. આવી બિનજરૂૂરી જવાબદારીઓ શિક્ષણના ભોગે ન થવી જોઈએ.ભવિષ્યમાં શિક્ષકોને કોઈ જવાબદારી સોંપતા પહેલા ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગના અગ્ર સચિવની મંજૂરી ફરજિયાત રહેશે.
ઘેલાસોમનાથની ઘટનાનો પડઘો
નજીકના ભૂતકાળમાં રાજકોટના ઘેલા સોમનાથ વિસ્તારમાં શિક્ષકો અને આચાર્યોને શિક્ષણ સિવાયની જવાબદારીઓ સોંપવાનો પરિપત્ર જારી થયો હતો, જેનાથી શિક્ષક સમુદાયમાં રોષ ફેલાયો. શિક્ષકોએ આવી જવાબદારીઓને વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર કરનારી ગણાવી હતી. આ વિવાદના પગલે, શિક્ષણ રાજ્ય મંત્રીએ તાત્કાલિક પગલાં લઈ, આ પરિપત્ર રદ કરાવ્યો અને ભવિષ્યમાં આવા આડેધડ પરિપત્રો ન થાય તેની ખાસ ચેતવણી આપી હતી.