ખોટા CCC સર્ટીફિકેટ રજૂ કરનાર શિક્ષકોના પગાર અટકાવાશે, રિકવરીની પણ સૂચના
રાજ્યના શિક્ષણ વિભાગે ખોટા CCC (Course on Computer Concepts) સર્ટિફિકેટ રજૂ કરીને લાભ મેળવનારા શિક્ષકો સામે હવે સખત કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા તમામ શિક્ષણાધિકારીઓને એક મહત્વપૂર્ણ પરિપત્ર મોકલી દેવામાં આવ્યો છે. પરિપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, ખોટા સર્ટિફિકેટ રજૂ કરનાર શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જેમાં ઉચ્ચ પગાર અને ઈજાફા અટકાવવા સુધીના પગલાં લેવામાં આવશે.
શિક્ષકો દ્વારા રજૂ કરાયેલા CCC સર્ટિફિકેટની ખરાઈ કરવા અને ગેરરીતિ બદલ કાર્યવાહી કરવા માટે ખાતાકીય તપાસ માટેની સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે. વધુમા જે શિક્ષકો નિવૃત્ત થઈ ગયા છે અને ખોટા સર્ટિફિકેટના આધારે પગાર કે અન્ય લાભ મેળવ્યા છે, તેમના કિસ્સામાં પણ સરકારી તિજોરીને થયેલું નુકસાન ભરપાઈ કરવા માટે રીકવરી (વસૂલાત) કરવા માટેની સૂચના આપવામાં આવી છે. આ પરિપત્રના પગલે હવે તમામ શિક્ષણાધિકારીઓ તેમના કાર્યક્ષેત્રમાં આવા શિક્ષકોની ઓળખ કરીને તેમની સામે તાત્કાલિક પગલાં લેશે.