શિક્ષકોએ ફરી બાંયો ચડાવી, ગાંધીનગરમાં ધરણાં-પ્રદર્શન
ચૂંટણી સમયે આપેલું વચન પાળવા અને જૂની પેન્શન યોજના સહિતનો પરિપત્ર જાહેર કરવા માંગ
જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્ર્નોના નિરાકરણની ખાતરી મળ્યા બાદ પણ સરકાર દ્વારા પરિપત્ર જાહેર નહી કરતા શિક્ષકો દ્વારા આજે ફરી ગાંધીનગરમાં હલ્લાબોલ કર્યાં હતો અને પડતર પ્રશ્ર્નો અંગેના નિરાકરણનો પરિપત્ર તાકિદે જાહેર કરવા ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં શિક્ષકોના આંદોલનથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
ગુજરાતના શિક્ષકો અને કર્મચારીઓની જૂની પેન્શન યોજનાને ફરીથી અમલમાં લાવવાના મુદ્દે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (એબીઆરએસએમ)ની લાંબા સમયથી ચાલી રહેલી લડત આજે વધુ એક મહત્વપૂર્ણ મંચ પર પહોંચી છે. 2022માં વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત સરકારે 2005 પહેલાંના શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સામેલ કરવાનો વાયદો કર્યો હતો, પરંતુ આ અંગેનો જાહેરનામું (જી.આર.) હજુ સુધી જાહેર નથી કરવામાં આવ્યું.
ગુજરાત સરકારના આ નિષ્ક્રિય વલણ સામે એબીઆરએસએમએ અનેકવાર રજૂઆતો કરી પરંતુ દરેક પ્રયાસ નિષ્ફળ રહ્યો. આંદોલનના નેતા ભીખાભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમે અહીં કોઈ રાજકીય લાભ માટે નહીં, પરંતુ અમારા અધિકારો માટે લડી રહ્યા છીએ. જે વાયદા સરકાર દ્વારા કરવામાં આવ્યા હતા તે આજે પણ પૂરાં નથી થયા. શૈક્ષિક કર્મચારીઓની પ્રાથમિક માંગ સમાન રીતે સંપૂર્ણ રીતે નકારી નાખવામાં આવી છે.
આ ધરણા માટે રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાંથી શિક્ષકો અને કર્મચારીઓની મોટી સંખ્યામાં હાજરી હતી. મહાસંઘના મહામંત્રી પરેશભાઈ પટેલે જણાવ્યું, આંદોલનનો હેતુ માત્ર અમારી માંગણીઓ પુરી કરાવવાનો છે. જો સરકાર અમને ઉચિત જવાબ નથી આપતી, તો અમે આંદોલનને વધુ વિકસાવશું.
ગાંધીનગરની શિક્ષિકા વૈશાલીબેન પટેલે જણાવ્યું કે, આજે અમે અહીં અમારા હકો માટે એક થઈને લડી રહ્યા છીએ. જૂની પેન્શન યોજના અમારો અધિકાર છે, અને અમે તેનો અમલ કરાવવા માટે બધા પ્રયાસો કરીશું.