ચિલ્ડ્રન યુનિ.ના રજિસ્ટ્રાર સામે અધ્યાપકોનો મોરચો
ચાર માસ પહેલાં ફરિયાદ કરવા છતાં કોઇ પગલાં ભરાયા નહીં, રજિસ્ટ્રારને હટાવવા માગણી
રાજ્યની ચિલ્ડ્રન યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સામે અધ્યાપકો જ દ્વારા ચાર માસ પહેલા કરાયેલી ફરિયાદમાં હજુસુધી કોઇ પગલાં લેવામાં ન આવતાં ભારે આક્રોશ ફેલાયો છે. ચિલ્ડ્રન યુનિ. શૈક્ષિક સંઘ દ્વારા રજિસ્ટ્રારનું લીયન પૂર્ણ થાય તે પહેલા તેમની મુળ જગ્યાએ પરત મોકલવા માંગણી કરવામાં આવી છે. રજિસ્ટ્રાર પોતાને કરવાના થતાં વહીવટી કાર્યોને બાજુમાં મુકીને અન્ય પ્રવૃત્તિઓમાં રચ્યપચ્યા રહેતા હોવાથી સંસ્થાનું વહીવટી પાસુ નબળુ પડી રહ્યું છે.
આગામી દિવસોમા તાકીદે નિર્ણય કરવામાં ન આવે તો અધ્યાપકોએ અંતિમવાદી નિર્ણય કરવા પડશે તેવી ગર્ભિત ચીમકી પણ આપવામાં આવી છે.
વર્ષ 2022માં કુલપતિ તરીકે હર્ષદ પટેલને ચાર્જ આપ્યા પછી ચિલ્ડ્રન યુનિવર્સિટીના કાયમી રજિસ્ટ્રાર તરીકે અમિત જાનીની નિયુક્તિ કરવામાં આવી છે. આ નિયુક્તિ નિયમ પ્રમાણે પાંચ વર્ષ માટે કરવામાં આવી છે. પરંતુ છેલ્લા દોઢ વર્ષના રજિસ્ટ્રારના કાર્યકાળમાં જ યુનિવર્સિટી સરકારના અને યુજીસીના કાયદા અને ધારાધોરણોનું પાલન કરવામાં તદ્દન નિષ્ફળ ગઇ છે. આશ્ચર્યની વાત એ કે યુનિવર્સિટીના જ અધ્યાપકોએ ગત 25મી એપ્રિલના રોજ મુખ્યમંત્રીને આ મુદ્દે લેખિતમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં કરાયેલા ઉલ્લેખ પ્રમાણે યુનિવર્સિટીની જાહેરાત પ્રમાણે રજિસ્ટ્રારને છઠ્ઠા પગારપંચનો પ્રમાણે પગાર મળવાપાત્ર છે આમછતાં વર્તમાન રજિસ્ટ્રારે તેમની નિમણૂંકથી સાતમાં પગારપંચનો લાભ લઇ રહ્યા છે યુનિવર્સિટીના અન્ય વહીવટી કર્મચારીઓને છઠ્ઠા પગારપંચ પ્રમાણે જ લાભ મળે છે અને રજિસ્ટ્રાર સાતમા પગારપંચનો લાભ સત્તાનો દૂરોપયોગ કરીને લઇ રહ્યા છે.
તેમની નિયુક્તિ પછી રાજયમાં વિધાનસભાની આચારસંહિતા અમલમાં હોવાછતાં તેઓએ ભરતી પ્રક્રિયા કરીને ચૂંટણીપંચના આચારસંહિતાનું ધરાર ઉલ્લંઘન કર્યુ હતુ. ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી યુજીસીની માન્યતા અને 12-બી સર્ટિફિકેટ ધરાવે છે. અધ્યાપકોને યુજીસીના નિયમ પ્રમાણે પગાર,રજાઓ અને કાર્યભાર સોંપવાના બદલે મનસ્વી રીતે ફેરફાર કરીને અધ્યાપકોને માનસિક ત્રાસ થાય તેવા નિયમો અમલમાં લાવતાં કેટલાક અધ્યાપકોએ હાઇકોર્ટનો આશરો લેવો પડયો હતો. વર્ષ 2023માં ફીક્સ અને હંગામી પગારના કર્મચારીઓને લીયનનો લાભ આપીને ઉપલી જગ્યાએ નિયુક્ત કર્યા હતા. નિયમ પ્રમાણે લીયનનો લાભ કાયમી કર્મચારીઓને જ મળતો હોવાછતાં નિયમ વિરુધ્ધ લીયન આપી દેવાયું હતુ. મહત્વની વાત એ કે બહારની સંસ્થાઓએ આ કર્મચારીઓને છૂટા કરતાં તેમને ચિલ્ડ્રન યુનિ.માં પુન:હાજર કરાયા હતા આવા બે કર્મચારીઓ યુનિવર્સિટીની એક્ઝીક્યુટીવ કાઉન્સિલે આ પ્રક્રિયા સરકારના નિયમ પ્રમાણે થઇ ન હોવાથી કર્મચારીઓને પુન:સંસ્થામાં હાજર કરવાની મંજુરી પણ આપી નથી.
સરકારની મંજુરી વગર સ્ટેચ્યુટ,ઓર્ડીનન્સ અને રેગ્યુલેશન તૈયાર કરીને સરકારમાં મંજુરી માટે મોકલી આપવામાં આવ્યા હતા. મંજુરી મળે તે પહેલા જ યુનિવર્સિટીની વેબસાઇટ પર મુકી દીધા હતા. આ નિયમો યુનિવર્સિટીઓમાં ખોટી રીતે લાગુ કરીને અધ્યાપકો અને વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપી રહ્યા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખતાં રજિસ્ટ્રારમાં સંસ્થાને મદદરૂૂપ થાની કોઇ કાર્યક્ષમતા કે સુઝ નથી. જેના કારણે તાકીદે તેમનું લીયન પૂર્ણ થાય તે પહેલા તેમની મૂળ જગ્યાએ પરત મોકલીને અન્ય રજિસ્ટ્રારની નિયુક્તિ કરવામાં આવે તેવી માંગણી પણ અધ્યાપકો દ્વારા કરવામાં આવી છે.