નેતાઓના ભોજન માટે શિક્ષકોને જવાબદારી !
ઘેલા સોમનાથમાં સતત એક મહિનો ચાલનારા કાર્યક્રમો અને લોકમેળામાં આવનાર VVIPનાં ભોજનની જવાબદારી ‘ગુરુજી’ને સોંપવા ડે.કલેક્ટરના હુકમથી ભારે ચકચાર
જસદણના પ્રસિદ્ધ ઘેલા સોમનાથ ખાતે શ્રાવણ માસ દરમિયાન સતત એક માસ સુધી યોજાતા લોક ડાયરા, સાંસ્કૃતીક કાર્યક્રમો, શિવકથા તેમજ લોકમેળા દરમિયાન વી.આઇ.પી અને વી.વી.આઇ.પીની ભોજન સંચાલન વ્યવસ્થા માટે જસદણ પ્રાંત અધિકારીએ 30 જેટલા શિક્ષકોને ફરજ સોંપવાનો લેખિત હુકમ કરતા ભારે ચકચાર જાગી છે.
એક તરફ સરકારી શાળાઓમાં શિક્ષકોની પુરતી વ્યાવસ્થા નથી, બીજી તરફ મતદારયાદી, ચૂંટણી પ્રક્રિયા, વસતી ગણતરી બાદ હવે મેળામાં વી.વી.આઇ.પીની ભોજન સેવા માટે પણ શિક્ષકોને ડ્યુટી સોંપવામાં આવતા શૈક્ષણિક ક્ષેત્રમાં પણ તિવ્ર પ્રત્યાઘાતો પડયા છે.
રાજકોટ જિલ્લાના જસદણ પ્રાંતના ડેપ્યુટી કલેક્ટરે ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ તરીકે ત્રીસ દિવસ માટે ત્રીસ આચાર્ય અને એક મદદનીશ શિક્ષકને ઘેલા સોમનાથ મંદિરે યોજાતા શ્રાવણી મેળાની કામગીરીમાં જોતરવાનો હુકમ કર્યો છે. દિલ્હી સલ્તનતના મોહમ્મદ બિન તુઘલકને પણ ટક્કર મારે એવા SDM જસદણ દ્વારા કરવામાં આવેલા હુકમમાં તેમને VVIP ભોજન સંચાલનની કામગીરીમાં મદદરૂૂપ થવાનો આદેશ કરવામાં આવ્યો છે.
શિક્ષણ સિવાયની સરકારી કામગીરીમાંથી માંડ નવરા પડતા માસ્તરોને લોકમેળાની કામગીરીમાં જોતરાવાના આ ઓર્ડરમાં શિક્ષકોની સાથે સાથે તેમની ઉપર નજર રાખવા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને લોકમેળાના ત્રીસ દિવસ દરમિયાન ઘેલા સોમનાથ મંદિર મુકામે હાજર રહેવાની પણ તાકીદ હુકમમાં કરવામાં આવી છે. જસદણના નાયબ કલેક્ટર દ્વારા કરવામાં આવેલા આ ઓર્ડરમાં તારીખ વાઈઝ કઈ શાળાના આચાર્ય અને શિક્ષક ફરજ બજાવશે તેનું લિસ્ટ આપવામાં આવ્યું છે.
શ્રાવણ મહિના લોકમેળામાં લોકો મોટી સંખ્યામાં આવતા હોવાનું જણાવીને એમ પણ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, મેળા દરમિયાન લોક ડાયરા, સાંસ્કૃતિક કાર્યક્રમ, શિવ કથા વગેરે જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લીધે વહીવટી કામગીરી મોટા પ્રમાણમાં થાય છે.
ધાર્મિક આસ્થાનું ધ્યાન રાખવામાં આવ્યું છે, લિસ્ટમાં કોઈ મુસ્લિમ નામ નથી : જસદણ પ્રાંત અધિકારી દ્વારા લોક મેળાની કામગીરી અંગે જે લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે તેમાં આચાર્ય-શિક્ષકની પસંદગી કરતી વખતે વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હોય તેવું હુકમ જોઈને લાગી રહ્યું છે. લિસ્ટમાં સામેલ તમામ કર્મચારીઓ હિન્દૂ સમુદાયના છે.
શિક્ષકોએ સામેથી સેવાની ઇચ્છા દર્શાવી હતી, દબાણ નથી કર્યુ: પ્રાંત
ઘેલા સોમનાથમાં શિક્ષકોને વીવીઆઇપીઓની સેવાનો પરિપત્ર કર્યો બાદ વિવાદ થતા પરીપત્ર રદ કરાયો છે જે બાબતે જસદણ પ્રાંત અધિકારીએ જણાવ્યું હતુ કે શિક્ષકોના એક ગ્રુપ દ્વારા સેવા માટે ઇચ્છા દર્શાવી હતી. જેથી વ્યવસ્થાના ભાગરૂપે શાળા સમય બાદના સમયમાં સેવા માટેની વ્યવસ્થા કરાઇ હતી અને આંતરીક કામગીરી વહેંચણી કરી હતી. જે જોડવા માંગતા હોય તેમને જ જોડાયા છે. કોઇને પણ દબાણ કરવામાં આવ્યું નથી.
હુકમ રદ કરવા શિક્ષણમંત્રીની સૂચના
ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે યોજાનાર મેળા સહીતના કાર્યક્રમોમાં શિક્ષકોને વીવીઆઇપીના ભોજન સંકલનની જવાબદારી સોંપવાના પ્રાંત અધિકારીના હુકમથી ભારે ઉહાપોહ મચી જતા અંતે શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ હુકમ તાત્કાલીક રદ કરવા સુચના આપી હોવાનું જાણવા મળે છે.