શહેરમાં મોહરમ નિમિત્તે તાજિયા જુલૂસ નીકળ્યા
જામનગર શહેરમાં આજે મુસ્લિમ સમુદાય દ્વારા મહોરમના તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી, અને વિશાળ સંખ્યામાં તાજીયાનુ ઝુલુસ નીકળ્યું હતું.જે કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાયેલી રહે, તેના માટે પોલીસ તંત્ર દ્વારા ડ્રોન કેમેરાની મદદ થી પણ બાઝ નજર રાખવામાં આવી હતી.
જામનગર શહેરમાં ખાસ કરીને સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં તાજીયા નું ઝુલુસ નીકળે છે, અને શહેરના મુખ્ય માર્ગ ઉપર પરિભ્રમણ કરે છે. ત્યારે દરબારગઢ- ચાંદી બજાર સહિતના શહેરના મુખ્ય વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવાની સાથે સાથે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. દરબારગઢ પોલીસ સ્ટેશન ની હદમાં પોલીસ વિભાગ દ્વારા લેપટોપ અને ડ્રોન કેમેરા ની મદદથી સમગ્ર તાજીયાના ઝુલુસ પર બાઝ નજર રાખવામાં આવી હતી.
સૈયદ ફળી વિસ્તારમાં માજી રાજવી દ્વારા અર્પણ કરાયેલો ચાંદીનો તાજિયો પડમાં આવ્યો: લોકો દર્શનાર્થે ઊમટ્યાં
જામનગરના માજી રાજવી દ્વારા મુસ્લિમ સમાજને ચાંદીનો તાજીઓ અર્પણ કરવામાં આવ્યો હતો, જે તાજીયો સૈયદ ફળી વિસ્તારમાં તૈયાર કરીને કાઢવામાં આવે છે. જામનગરના કાદરી કમિટી દ્વારા આ તાજીયાને તૈયાર કરીને કાઢવામાં આવે છે. જેને જામનગરના પોલીસ તંત્ર દ્વારા એક નંબરનો ક્રમાંક અપાયો છે. જે તાજીયો સૌપ્રથમ ચાલે છે, ત્યારબાદ તેની સાથે અન્ય તાજીયા જોડાય છે. ગઈકાલે સાંજે ચાંદીનો તાજિયો પડમાં આવ્યો હતો, ત્યારે અનેક દર્શનાર્થીઓ આ તાજીયા ના દર્શન કરવા પહોંચ્યા હતા. જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જયેન્દ્રસિંહ ઝાલા, સીટી ઇન્સ્પેક્ટર એન કે ચાવડા તથા અન્ય પોલીસ સ્ટાફ વગેરે પણ સૈયદ ફળી સહિતના વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું, તેમજ કાદરી કમિટીના સભ્ય સાથે મુલાકાત કરી હતી.