બેફામ કાર ચાલકે વેપારીને અડફેટે લઈ 200 મીટર ફંગોળતાં મોત
- રાજકોટના રિંગ રોડ ઉપર રામાપીર ચોકડી ઓવરબ્રિજ ઉપર વહેલી સવારે ભયાનક અકસ્માત
- સેન્ડવીચની દુકાન બંધ કરી ઘરે જતાં વેપારીના ઓવરસ્પીડ કારે પ્રાણ હરી લીધા, કારચાલકે દારૂ ઢીંચ્યો હોવાની શંકા
થોડા મહિના અગાઉ અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થાર અને એક ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં તથ્ય પટેલ નામનો યુવક 140 કરતા વધુની સ્પીડે જગુઆર કાર લઈને આવે છે અને ત્યાં ઉભેલા લોકોને ટક્કર મારતા દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા હતા.આ અકસ્માતના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા હતા.ત્યારે સરકારે ઓવર સ્પીડમાં ચાલતા વાહન ચાલકો સામે આકરા પગલાં લીધા હતા તેમ છતાં હજુ લોકો પોતાનો જીવ જોખમમાં મૂકી પુરઝડપે વાહન ચલાવતા હોય નિર્દોષ લોકોનો ભોગ લેવાય છે.
રાજકોટ શહેરમાં આજે રોજ વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં લોધાવાડમાં જલારામ સેન્ડવિચની લારી બંધ કરી પોતાના બાઈક પર ઘરે જઈ રહેલા અને લોહાણા પ્રૌઢને રામપીર ચોકડીથી શીતલ પાર્ક જતા પુલ પર પુર ઝડપે આવેલી કારના ચાલકે ઉલાળતા પ્રૌઢ 200 મિટર સુધી ફંગોડાયા હતા અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.આ ઘટના અંગે કોઈએ પોલીસને જાણ કરતા પોલીસ ત્યાં પહોંચી કાર ચાલક અને તેના મિત્રને પકડી ગાંધીગ્રામ પોલીસ મથકે લઈ જવાયા હતા.તેમજ પ્રૌઢના મૃતદેહને સિવિલના પોસ્ટ મોર્ટમ રુમે ખસેડી તેમના પરિવારને જાણ કરવામાં આવી હતી.વધુ વિગતો મુજબ, 150 ફૂટ રીંગ રોડ પર આવેલા ગોકુલ મથુરા બિલ્ડીંગની પાછળ રાધિકા રેસીડેન્સી-2માં રહેતા અને લોધાવાડમાં જલારામ સેન્ડવીચ નામે ધંધો કરતા કિરીટભાઈ રસીકલાલ પોન્દા(ઉ.વ.55) આજે સવારે અંદાજીત સાડા ચારેક વાગ્યે પોતાની જલારામ સેન્ડવીચ નામની કેબિન બંધ કરી પોતાના ઘરે જવા બાઇક લઈ નીકળ્યા હતા તેઓ 150 ફૂટ રિંગ રોડ પર બનેલા રામપીર ચોકડી બ્રિઝ પરથી શીતલ પાર્ક ચોક તરફ થઈ ઘરે જતા હતા ત્યારે તેની પાછળ પુર ઝડપે ઘસી આવેલી ફોક્સ વેગન કારના ચાલકે કિરીટભાઈની બાઇકને ઉલાળતા કિરીટભાઈ ત્યાં પુલ પરજ 200 મીટર સુધી ફંગોડાયા હતા અને તેમનું ઘટના સ્થળે જ ગંભીર ઇજાની હાલતમાં મોત નીપજ્યું હતું.અકસ્માત સર્જનાર કારના ચાલક હેબતાઈ જતા પોતે કાર લઈ ભાગવા જતા તે કાર પોલ સાથે ધડાકાભેર અથડાઈ જતા કારની એરબેગ ખુલી ગઈ હતી અને ત્યાં આજુ બાજુના લોકો એકઠા થઇ જતા પોલીસમાં જાણ કરવામાં આવતા ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને અકસ્માત સર્જનાર કારના ચાલક તેમજ તેમાં બેઠેલા તેમના મિત્રને પકડી લઈ પોલીસ મથકે લઈ જવાયા હતા.તેમજ કિરીટભાઈનો મૃતદેહ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમમાં ખસેડવામાં આવ્યો હતો.મૃતક મૂળ ધોલેરાબંદરના વતની છે.
તેમને સંતાનમાં એક દિકરો કિશન(ઉ.27) જે અમદાવાદ ખાનગી કંપનીમાં નોકરી કરે છે જ્યારે દિકરી અભ્યાસ કરે છે.પોતે બે ભાઈમાં નાના હતા તેમના મોટા ભાઈ શરદભાઈ પેલેસ રોડ પર જલારામ સેન્ડવીચ નામે ધંધો કરે છે.તેમના માતા પિતા હયાત નથી.આ અકસ્માતની ઘટના બાદ તેમના પત્ની જ્યોતિબેન અને મોટાભાઈ શરદભાઈને જાણ કરવામાં આવતા તેઓ પણ સિવિલ હોસ્પિટલે પહોંચી ગયા હતા.આ ઘટના અંગે અકસ્માત સર્જનાર કારના ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવા તજવીજ શરૂૂ કરી છે.કારમાં સવાર બંને વ્યક્તિ નશામાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.ઉલ્લેખનીય છે કે ગઈકાલે મોડીરાત્રે બારેક વાગ્યે ત્રણ મિત્રો પોતાની સ્વીફટ કાર લઈને ડો.યાજ્ઞીક રોડ પર ફરવા નીકળ્યા હતાં ત્યારે પૂરઝડપે આવી રહેલી મર્સીડીઝ કારના ચાલકે સ્વીફટ કાર સાથે ધડાકાભેર અકસ્માત સર્જતા તેમાં સવાર કાર ચાલક અને બે મિત્રોને ઈજા થઈ હતી. સ્વિફટ કારની એર બેગ ખુલી જતાં મોટી જાનહાની ટળી ગઈ હતી. ત્યારે આજે આ ગંભીર અકસ્માત સર્જતા તેમાં નિર્દોષ વેપારીનું મૃત્યુ નિપજતાં તેમના પરિવારમાં અરેરાટી મચી ગઈ છે.
કાર ચાલક અને તેમના મિત્રને સકંજામાં લીધા છે,બંનેના મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે: એસીપી રાધિકા ભારાઈ
આ અકસ્માતને પગલે ડીસીપી ઝોન-2 સુધીર દેસાઈ અને એસીપી રાધિકા ભારાઇ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.એસીપી રાધિકા ભારાઇએ જણાવ્યું હતું કે,અકસ્માત સર્જનાર ફોક્સવેગન કારચાલક અનંત ગજ્જરે સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો.તેની સાથે રહેલા દેવેન્દ્ર ઉપાધ્યાય નામના વ્યક્તિઓની અટકાયત કરી ગાંધીગ્રામ પોલીસમાં ખાતે લઈ જવામાં આવ્યા છે.સમગ્ર મામલે આરટીઓ તેમજ એફએસએલના અધિકારીઓની મદદ પણ લેવામાં આવી હતી.કારમાં સવાર બંને વ્યક્તિઓના મેડિકલ ટેસ્ટ પણ કરાવવામાં આવશે.મેડિકલ ટેસ્ટ અંતર્ગત બંને વ્યક્તિઓએ નશા યુક્ત પદાર્થનું સેવન કરવામાં આવ્યું હશે તો તેમના વિરુદ્ધ અલગથી ગુનો દાખલ કરવામાં આવશે.