તંત્રની સતર્કતા: સંભવિત આગજની અંતર્ગત મેળામાં મોક્ડ્રીલ યોજાઇ
એન.ડી.આર.એફ. અને ફાયર વિભાગનો સ્ટાફ સમયસર ઘટનાસ્થળે પહોંચ્યો: નાગરિકોની સુરક્ષાની ખાતરી
સૌરાષ્ટ્રના સૌથી પ્રસિદ્ધ એવા રાજકોટના "ધરોહર લોકમેળા”માં અચાનકથી મોટી આગ લાગી હતી. એવામાં અમુક જાગૃત નાગરિકો દ્વારા મેળાના કંટ્રોલરૂમ તથા પોલીસ કંટ્રોલરૂમને જાણ કરાતા તુરંત જ ઈમરજન્સી સાયરન જોર જોરથી વાગવા લાગી હતી. લોકોમાં નાસભાગ મચે તે પહેલાં જ ડયુટી પરના પોલીસ કર્મચારીઓ તથા એન.ડી.આર.એફ. અને એસ.ડી.આર.એફ.ના જવાનો દ્વારા લોકોને ઘટના સ્થળ પરથી હટાવવામાં આવ્યા હતા. આ દરમિયાન કંટ્રોલરૂૂમમાંથી પણ મેળામાં ઉપસ્થિત નાગરિકોને સલામત રીતે ઘટના સ્થળથી દૂર હટી જવાની સતત જાણ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ટેલીફોનીક જાણ થતાં જ તુરંત પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે આગ પર વાસ્તવિક રીતે કાબુ કરી લીધો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી. સમગ્ર ઘટનાને અંતે આ ઘટનાને મોકડ્રીલ જાહેર કરાઈ હતી.
આ સમયે પ્રાંત અધિકારી ચાંદની પરમાર, દક્ષિણ મામલતદાર જે.વી.કાકડીયા, ડિઝાસ્ટર મામલતદારની સમગ્ર ટીમ. આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ રાધીકા બારાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર જણકાત સહીત પોલીસ વિભાગની ટીમ સમયસર ઘટના સ્થળે પહોંચી હતી. આજથી ધરોહર લોકમેળાનો પ્રારંભ થયો છે. ત્યારે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગે મોકડ્રીલ કરીને મેળામાં મહાલવા આવાનાર તમામ નાગરીકોની સુરક્ષા અને સલામતીની ખાતરી કરી હતી.