રાજકોટના 73 લાખના સિરપ પ્રકરણમાં સૂત્રધાર નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાણી બે દી’ના રિમાન્ડ પર
ખેડામાં પાંચથી વધુનો ભોગ લેનાર ચકચારી સીરપ કાંડના મુખ્ય સૂત્રધાર નીતિન અજીત કોટવાણી અને ભાવેશ જેઠાલાલ સેવકાણી (રહે. બંને વડોદરા)નો રાજકોટની ક્રાઈમ બ્રાંચે 73 લાખના સીરપના પ્રકરણમાં કબ્જો મેળવી તેમને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ પર મેળવી તપાસ જારી રાખી છે.
થોડા સમય પહેલા ખેડામાં આયુર્વેદિક સીરપના ઓઠા નીચે વેચાતું નશાકારક પીણું પીવાથી પાંચના ભોગ લેવાતાં રાજયભરમાં ઉહાપોહ મચી ગયો હતો. ખેડા પોલીસની એસઆઈટીએ તપાસ કરતા મુખ્ય સૂત્રધાર તરીકે નીતિન અને ભાવેશની સંડોવણી ખુલી હતી.ત્યારબાદ આ બંનેને વડોદરા પોલીસે ઝડપી લીધા હતા. રાજકોટમાં ગત જુલાઈ માસ દરમિયાન ક્રાઈમ બ્રાંચે પાંચ ટ્રક ભરેલ 73 હજાર બોટલ સીરપનો જથ્થો ઝડપી લીધો હતો. જેની ક્રાઈમ બ્રાંચે 73 લાખ કિંમત આંકી હતી. આ કૌંભાડમાં સૂત્રધાર તરીકે નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાણીની સંડોવણી ખુલી હતી. પરંતુ બંને આરોપીઓ વોન્ટેડ હોવાથી હાથમાં આવ્યા ન હતા.
ક્રાઈમ બ્રાંચે વધુ તપાસ દરમિયાન જે-તે વખતે નીતિનની મહારાષ્ટ્રના નંદુરબારમાં આવેલી ફેકટરી અને ભીવંડીમાં આવેલું ગોડાઉન સીલ કરી દીધું હતું. અત્યાર સુધી ક્રાઈમ બ્રાંચે આ કૌભાંડમાં દસેક આરોપીઓની ધરપકડ કરી હતી. હજુ પણ ઘણાં આરોપીઓ વોન્ટેડ છે.આ દરમિયાન મૂખ્ય સૂત્રધાર નીતિન અને ભાવેશ પકડાઈ જતાં બંનેને તપાસના અંતે નડિયાદની જેલહવાલે કરાયા હતા. જયાંથી ક્રાઈમ બ્રાંચે ગઈકાલે તેમનો કબ્જો મેળવ્યો હતો. આજે તેમને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા સેવાઈ રહી છે.
આ ટોળકી વિરુદ્ધ રાજ્યમાં અનેક ગુના
રીઢા ગુનેગાર નીતિન અને ભાવેશ આણી ટોળકી દ્વારા સમગ્ર રાજયમાં આયુર્વેદિક સીરપના નામે નશાકારક પીણાંની બોટલોનું છેલ્લા ઘણાં સમયથી વેચાણ કરવામાં આવી રહ્યું હતું. આ ટોળકી વિરૂૂધ્ધ રાજયના અનેક શહેરોમાં ગુના નોંધાયા છે.