પતિને તરછોડનાર શાપરની પરિણીતાના ચારિત્ર પર શંકા કરી પ્રેમીએ મોતને ઘાટ ઉતારી
શાપર વેરાવળમાં હત્યા કરી થાંભલે લટકેલી મળેલી લાશનો ભેદ ઉકેલાયો
મેંદરડા તાલુકાના ઝીંઝુડાની પરિણીતાનો હત્યારો ગણતરીના કલાકોમાં પકડાયો
શાપર વેરાવળમાં ગત શનિવારે બનેલા હત્યાના બનાવનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો હતો.પતિને તરછોડી પ્રેમી સાથે રહેતી મેંદરડા તાલુકાના ઝીંઝુડા ગામની પરિણીતાને તેના પ્રેમીએ મોતને ઘાટ ઉતારી લાશ થાંભલે લટકાવી દીધી હતી. મેંદરડા તાલુકાના ઝીંઝુડા ગામે ઘરે આવતા યુવક સાથે પરિણીતાને આંખ મળી જતા પરિણીતાએ પતિ સાથે છૂટાછેડા લઈ પ્રેમી યુવક સાથે ભાગી શાપરમાં વસવાટ શરૂૂ કર્યો હતો. પ્રેમીએ ચારિત્ર પર શંકા કરી પ્રેમિકાને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપર વેરાવળમાં આવેલા કારખાના વિસ્તારમાં પ્રેમી મયુર ગિરધરભાઈ સીરવાડિયા સાથે રહેતી મેંદરડા તાલુકાના ઝીંઝુડા ગામની વતની જાગૃતીબેન નામની યુવતીનો મૃતદેહ થાંભલામાં લટકતો હોવાની જાણ થતા શાપર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે તપાસ કરતા પ્રેમી મયુર સીરવાડિયાએ જ પ્રેમિકા જાગૃતિબેનને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી લાશને થાંભલે લટકાવી દીધી હોવાનું ખૂલતા શાપર પોલીસે હત્યારા પ્રેમી મયુર સીરવાડિયાની ધરપકડ કરી હતી.
હત્યાના બનાવ અંગે વંથલીના નવાગામે રહેતા મૃતક જાગૃતિબેનના મધુબેન મનોજભાઈ ગોપાણીએ મેંદરડાના ઝીંઝુડા ગામે રહેતા મયુર ગિરધર સિરવાડિયા સામે ફરિયાદ નોંધવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં બે પુત્રી છે. જેમાં જાગૃતિ મોટી છે જયારે કિરણ માનસિક બીમાર હોવાથી તેમની સાથે રહે છે. અને જાગૃતીના ઝીંઝુડા ગામના સતીષ સાથે લગ્ન થયા હતા. જ્યાં દંપતિય જીવન દરમિયાન એક પુત્રીનો જન્મ થયો હતો. બાદમાં જાગૃતિના ઘરે આવતા આરોપી મયુર સાથે આંખ મળી જતા જાગૃતિબેને પતિ સતીષ સાથે છૂટાછેડા લઈ પુત્રીનો કબજો પતિને સોંપી દીધો હતો અને બાદમાં મયુર સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા. અને તેઓ લગ્ન કરી પ્રથમ મેંદરડા અને ત્યાર બાદ શાપર રહેવા આવી ગયા હતા. અને શાપરમાં રહી મજૂરી કામ કરતાં હતા. મયુર અવાર નવાર જાગૃતિ સાથે તેણીના અન્ય પુરુષ સાથે આડસબંધ હોવાની શંકા કરી ઝગડો કરતો હોવાથી આ બાબતની વાત તેણીના માતા મધુબેનને પણ કરી હતી. શનિવાર રાત્રિના મયુર અને જાગૃતિ વચ્ચે આ મુદે ઝગડો થતાં માયુરે ઉશ્કેરાઈ જાગૃતિના માથામાં પથ્થરો મારી તેની કરપીણ હત્યા કરી નાખી હતી. અને તેની લાશને થાંભલે લટકાવી દીધી હતી.
આ મામલે શાપર પોલીસના પીઆઇ આર.કે.ગોહિલ અને તેમની ટીમે ગણતરીની કલાકોમાં હત્યારા પતિની ધરપકડ કરી હતી અને મૃતક જાગૃતિબેનના વંથલી તાલુકાના નવાગામ રહેતા પરિવારનો સંપર્ક કરી ઘટના અંગે જાણ કરી હતી. બનાવની જાણ થતા જ પરિવાર મધરાત્રે શાપર પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો જાગૃતિબેનના મોતથી પરિવારમાં આરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.