રાજારામ સોસાયટીમાં ક્ષત્રિય પરિવારના એકલોતા પુત્રનો આપઘાત
શહેરના સામાકાંઠે આવેલી રાજારામ સોસાયટીમાં ક્ષત્રિય પરિવારના એકલૌતા પુત્રએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ સંત કબીર રોડ પર રાજારામ સોસાયટી શેરી નં.7માં રહેતા અજીરાજસિંહ હસવિરસિંહ વાઢેર (ઉ.19) નામના યુવાને આજે સવારે પોતાના ઘરે ઉપરના રૂમમાં એંગલ સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ તથા થોરાળા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક એક બહેનનો એકનો એક નાનો ભાઈ હતો તેના પિતા હયાત નથી. માતા સિવિલ હોસ્પિટલમાં નોકરી કરે છે. મૃતક યુવાન ઈલેકટ્રીક કામ કરતો હતો. એકના એક પુત્રના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. તેણે આ પગલું શા માટે ભરી લીધું તે અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.