પરિવારના આગ્રહના કારણે આત્મહત્યા નહોતી જાહેર કરવામાં આવી: સોખડા મંદિરની સ્પષ્ટતા
હરિધામ, સોખડાના સંત ગુણાતીતચરણ સ્વામીએ એપ્રિલ 2022માં બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી હતી તે બાબતે દાખલ થયેલ ગુન્હાના સમાચારો અંગે સ્પષ્ટતા કરતાં શ્રી હરિ આશ્રમ, હરિધામ, સોખડાના સેક્રેટરી જે. એમ. દવેએ જણાવ્યું છે કે, હરિધામ-સોખડાના અધિષ્ઠાતા બ્રહ્મસ્વરૂૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં અક્ષરધામગમન પછી એપ્રિલ 2022માં એક જુથ અલગ થવાથી ઉદાસ રહેતા અને કેટલાક સમયથી બીમાર એવા ગુણાતીતચરણ સ્વામીએ રૂૂમમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ વાતની જાણ તેમની રૂૂમમાં રહેતા પ્રભુપ્રિય સ્વામીને થતાં તેઓ ગભરાઈ ગયેલ અને તેમણે વડીલ સંત જ્ઞાનસ્વરૂૂપ સ્વામીને જાણ કરી હતી. બન્નેએ ગુણાતીતચરણ સ્વામી જીવિત હોવાની શક્યતાને ધ્યાને લઈને તેમને લટકતી અવસ્થામાંથી નીચે ઉતાર્યા હતા. પરંતુ તેઓનું મૃત્યુ થઈ ગયું હતું. આથી ગુણાતીતચરણ સ્વામીના પૂર્વાશ્રમના પિતરાઈ ભાઈ હરિપ્રકાશ સ્વામીને જાણ કરી હતી. રાત્રે મોડું થયું હોવાથી હરિપ્રકાશ સ્વામીએ સવારે ગુણાતીતચરણ સ્વામીના સગા ભાઈ કિશોરભાઈને બનાવની હકીકત જણાવી હતી. પરંતુ કિશોરભાઈએ પોતાના ભાઈ બેંતાલીસ વર્ષથી સાધુ હોય તેમનું ખરાબ ન લાગે તે માટે આત્મહત્યાની વાત જાહેર ન કરવા આગ્રહ કર્યો હતો.
ગુણાતીતચરણ સ્વામીના ભાઈનો આગ્રહ સ્વીકારીને મંદિરના વડીલોએ કુદરતી મોત થયાનું જાહેર કર્યું હતું અને કોઈપણ ઉતાવળ કર્યા સિવાય સંપ્રદાયની પરંપરા પ્રમાણે અંતિમવિધિની તૈયારી કરી હતી. દિવંગત સંતના પરિવારના લોકોની રાહ જોવાઈ રહી હતી ત્યારે જ પોલીસને જાણ થતાં પોસ્ટમોર્ટમ કરાવવાની વિધિ કરવામાં આવી હતી.
બનાવ બાદ તરત જ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ મંદિરના વડીલોએ કયા સંજોગોમાં બનાવ જાહેર કરવામાં ન આવેલો તેની ખરી હકીકત પોલીસને જણાવી દીધી હતી અને તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો હતો. આ એકવારની તપાસ પૂર્ણ થયા પછી ગુણાતીતચરણ સ્વામીના દૂરના ભત્રીજાએ હરિધામથી અલગ થયેલ જૂથના પ્રભાવમાં આવીને અરજી કરતાં પોલીસે બીજીવાર તપાસ કરી હતી. પરંતુ, બનાવ આત્મહત્યાનો જ હોવાનું તારણ નીકળ્યું હતું. તે પછી તેમણે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરતાં પોલીસ તપાસ કરીને ગુન્હો દાખલ થઈ શકે તેમ છે કે નહીં? ન થઈ શકે તેમ હોય તો અરજદારને જાણ કરવા આદેશ થયો હતો.
ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ફરીથી પોલીસ તપાસ હાથ ધરી હતી. તેમાં પણ મંદિર પ્રશાસને સંપૂર્ણ સહકાર આપ્યો છે. જાણવા મળ્યા મુજબ પોલીસે નોન કોગ્નીઝિબલ ગુનો દાખલ કર્યો છે.
સદગત ગુણાતીતચરણ સ્વામીની આત્મહત્યા દૂ:ખદ ઘટના છે. તેમના ચાર દાયકાના સાધુજીવન અને પરિવારની લાગણીને ધ્યાનમાં રાખીને મંદિરના વડીલોએ જે તે સમયે નિર્ણય કર્યો હતો. હરિધામથી અલગ થયેલ જુથ દ્વારા પચાસથી વધુ લિટીગેશન ઉભા કરીને બ્રહ્મસ્વરૂૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની તપોભૂમિને બદનામ કરવાના પ્રયાસ થાય છે તેમાં આ ઘટના અંગે પણ બે વર્ષથી વધુ સમયબાદ લિટીગેશન ઉભું કરાવીને મૃત્યુની મર્યાદા જાળવવામાં નથી આવી તે ખેદજનક છે.