નકલી બિયારણ વેચનારાઓ સામે સખ્ત કાર્યવાહી થશે: કૃષિ મંત્રી રાઘવજીભાઇ
રાજકોટમાં નકલી બિયારણના વેચાણનો મામલો સામે આવ્યા બાદ રાજ્યના કૃષિ મંત્રી એ આકરું વલણ અપનાવ્યું છે. ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા અને નકલી બિયારણના વેચાણને રોકવા માટે કૃષિ મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, નકલી બિયારણ ચલાવવામાં નહીં આવે અને આવા કૃત્યમાં સામેલ લોકો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.આ ઉપરાંત, રાજકોટ જિલ્લા ખેતીવાડી વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.
રાજકોટ જિલ્લા ખેતીવાડી વિભાગે તાજેતરમાં બજારમાંથી બિયારણના નમૂનાઓ એકત્રિત કરી તેનું પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે કે એકત્રિત કરાયેલા નમૂનાઓમાંથી 11 નમૂનાઓ નકલી અથવા ધોરણોને અનુરૂૂપ ન હોવાનું જણાયું છે. આ ઘટનાએ ખેડૂતોમાં રોષ અને ચિંતા ફેલાવી છે, કારણ કે નકલી બિયારણનો ઉપયોગ ખેતીના ઉત્પાદનને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
કૃષિ મંત્રીએ આ મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું, ખેડૂતો અમારા અન્નદાતા છે અને તેમની સાથે છેતરપિંડી કરનાર કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને છોડવામાં નહીં આવે. નકલી બિયારણનું વેચાણ ખેડૂતોના આર્થિક હિતોને નુકસાન પહોંચાડે છે અને રાજ્યની ખેતીવાડી પ્રગતિને અવરોધે છે. આવા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ખેતીવાડી વિભાગને નિર્દેશ આપ્યા છે કે નકલી બિયારણના વેચાણની ફરિયાદોની તપાસ કરી, જવાબદારોને ઝડપી લેવામાં આવે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરવામાં આવે.
રાજકોટ જિલ્લા ખેતીવાડી વિભાગે આ મામલે તપાસને વેગ આપ્યો છે. નકલી બિયારણના વેચાણ સાથે સંકળાયેલા વેપારીઓ અને સપ્લાયર્સની ઓળખ કરવા માટે વિભાગે વિવિધ ટીમો રચી છે. આ ટીમો બજારો, દુકાનો અને ગોડાઉનોમાંથી વધુ નમૂનાઓ એકત્રિત કરી રહી છે, જેથી નકલી બિયારણના સ્ત્રોતની ઓળખ થઈ શકે. આ ઉપરાંત, ખેડૂતોને પણ સાવચેત રહેવા અને માત્ર પ્રમાણિત વેપારીઓ પાસેથી જ બિયારણ ખરીદવાની સલાહ આપવામાં આવી છે.