સુરત બાદ ભરુચમાં પથ્થરમારો, ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે જૂથના લોકો વચ્ચે ઘર્ષણ થતાં તંગદિલી
ગુજરાતમાં શાંતિ ડહોળવાનો ફરી એકવાર પ્રયાસ કરવામાં આવ્યો છે. સુરત બાદ ભરુચમાં ગઈ કાલે મોદી રાત્રે કોમી તંગદિલી સર્જાઈ હતી. ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે કોમનાં ટોળાં આમને સામને આવી જતા મામલો તંગ બન્યો હતો. ભરૂચ શહેરના ગોકુળનગર વિસ્તારમાં તંગદિલી સર્જાતા રાત્રિના સમયે પોલીસનાં ધાડેધાડાં ઊતરી પડ્યાં હતાં અને ટોળાંને વિખેરી સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો હતો.
મળતી વિગતો અનુસાર બી. ડિવિઝન પોલીસમથકના કુકરવાડામાં આવેલા ગોકુળનગર નજીક બે સમુદાયના લોકો વચ્ચે ધાર્મિક તહેવારોની ઉજવણી માટે ઝંડા લગાવવા જતા મામલો બીચક્યો હતો. આ દરમિયાન ભારે પથ્થરમારો અને તોડફોડ જેવી ઘટનાઓ બની હતી. અથડામણ દરમિયાન 2 લોકો ઈજાગ્રસ્ત થયાની પણ જાણકારી મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે આવનારા દિવસોમાં બે મોટા તહેવાર એકસાથે આવી રહ્યા છે જેની ઉજવણીની તૈયારીઓ વચ્ચે આ બબાલ થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તોફાની તત્વો આ રીતે ગુજરાતનો માહોલ પણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા હોવાના દાવા થઇ રહ્યા છે. મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. હાલમાં સીસીટીવી ફૂટેજની મદદથી તોફાનીઓને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.