પડતર માંગણીઓના પ્રશ્ર્ને રાજ્યના મહેસૂલ કર્મચારીઓની બુધવારે હડતાલ
વિવિધ પડતર માંગણીઓને લઈને રાજ્યભરના મહેસૂલ કર્મચારીઓ આગામી બુધવારે હડતાલ પર જવાના છે, જેના પગલે રાજ્યના વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. આજે રાજકોટ જિલ્લાના આશરે 390 જેટલા મહેસૂલ કર્મચારીઓએ બુધવારની હડતાલના સમર્થનમાં રજા મૂકી દીધી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ મોટાભાગના કર્મચારીઓએ આજથી જ રજા પર ઉતરી જવાનો નિર્ણય કર્યો છે.
આવતીકાલે મંગળવારની જાહેર રજા હોવાથી અને બુધવારે હડતાલના કારણે કલેકટર કચેરી સહિતની તમામ મહેસૂલ કચેરીઓના કામકાજ ખોરવાશે મહેસૂલ કર્મચારી યુનિયનના જણાવ્યા અનુસાર, તેઓ લાંબા સમયથી વિવિધ માંગણીઓ અંગે સરકારને રજૂઆત કરી રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. આથી, કર્મચારીઓએ આખરે હડતાલનું શસ્ત્ર ઉગામવાની ફરજ પડી છે. તેમની મુખ્ય માંગણીઓમાં સમયસર બઢતી, ખાલી જગ્યાઓ ભરવી અને જુની પેન્શન યોજના લાગુ કરવી વગેરેનો સમાવેશ થાય છે.
દરમિયાન, તલાટી દ્વારા અગાઉ કરવામાં આવેલી એક રજૂઆત અંગે પણ માહિતી સામે આવી છે. જેમાં સ્વર્ગસ્થ મહિલા કર્મચારીના સ્થાને તેમના પતિની બદલીને લઈને મહેસૂલ વિભાગના નિયમોમાં વિસંગતતા હોવાનું જણાવાયું છે. આ બાબતે વિભાગ દ્વારા કરવામાં આવેલ ઠરાવોમાં પણ સ્પષ્ટતાનો અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે કર્મચારીઓમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે.
હડતાલના પગલે સામાન્ય નાગરિકોના મહેસૂલ વિભાગને લગતા કામો અટકી જશે તેવી શક્યતા છે. સરકાર દ્વારા તાત્કાલિક આ બાબતે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી કર્મચારીઓ અને અરજદારો આશા રાખી રહ્યા છે. જો સરકાર દ્વારા કર્મચારીઓની માંગણીઓ પર સકારાત્મક વિચારણા કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ હડતાલ વધુ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરી શકે છે.