ક્રિટિકલ કેર યુનિટ હોસ્પિટલ માટે 20 કરોડનું બજેટ ફાળવતી રાજ્ય સરકાર
સૌરાષ્ટ્રનાં પાટનગર સમાન રાજકોટ શહેરના વિકાસે હરણફાળ ભરી છે ત્યારે સૌરાષ્ટ્રભરમાંથી રાજકોટમાં લોકો સારવાર લેવા આવતાં હોય તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા એઈમ્સ જેવી અદ્યતન હોસ્પિટલ રાજકોટને ફાળવી હતી. બીજી બાજુ કલેકટર કચેરી સામે આવેલ મનુબેન ઢેબર સેનીટોરીયમ ખાતેની જમીન જિલ્લા કલેકટરે ક્રિટીકલ કેર યુનિટ હોસ્પિટલ માટે પંડિત દીનદયાલ હોસ્પિટલને ફાળવેલ હોય રાજ્ય સરકારે નવી ક્રિટીકલ કેર યુનિટના બિલ્ડીંગ માટે 20 કરોડનું બજેટ મંજુર કર્યુ છે.
રાજકોટનાં કલેકટર પ્રભવ જોષીએ આજે પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર લેવા આવતાં હોય ક્રિટીકલ કેર યુનિટ માટે થોડા સમય પહેલા જ કલેકટર કચેરી સામે આવેલ કિંમતી જમીન પંડીત દીનદયાલ હોસ્પિટલને ફાળવી દેવામાં આવી હતી.
ત્યારબાદ નવી અદ્યતન હોસ્પિટલ માટેની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલી આપતાં સરકારે દરખાસ્તને ધ્યાને લઈ નવી ક્રિટીકલ કેર યુનિટ માટે 20 કરોડ મંજુર કર્યા છે અને આ અંગેની કામગીરી શરૂ કરવા કલેકટરને સુચના આપવામાં આવી છે. જેના આધારે કલેકટર તંત્ર દ્વારા 100 બેડની નવી અદ્યતન જટીલ સર્જરી માટેની હોસ્પિટલ ઉભી કરવા માટે નકશા બનાવવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે અને ત્યારબાદ આ અંગેની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે અને બાદમાં નવી હોસ્પિટલ માટેનો બિલ્ડીંગ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ અદ્યતન બિલ્ડીંગ તૈયાર થઈ ગયા બાદ રાજકોટ શહેરના તમામ જટીલ સર્જરી ઉપલબ્ધ કરાશે. સૌરાષ્ટ્રભરનાં દર્દીઓને અમદાવાદ સુધી ધક્કા ખાવા નહીં પડે.