રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ
- ટંકારા-પડધરી વિસ્તારમાં પ્રવાસ કરી કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી
લોકસભા ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે અને ચુંટણીની જાહેરાત નજીકના સમયમાં થવાની છે જે પૂર્વે ભાજપે જાહેર કરેલ ઉમેદવારોની યાદીમાં રાજકોટ બેઠક પરથી પરષોતમ રૂૂપાલાને ટીકીટ આપી છે ત્યારે પરષોતમ રૂપાલાએ પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે અને ટંકારા-પડધરી વિસ્તારમાં પ્રવાસ કરી કાર્યકર્તાઓ સાથે પરિચય કરી ચર્ચા કરી હતી.
પરષોતમ રૂૂપાલાએ ટંકારા-પડધરી મત ક્ષેત્રમાં પ્રવાસ કર્યો હતો અને કાર્યકરોને સંબોધન કર્યું હતું પરષોતમભાઈએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ બેઠક પરથી પક્ષે ઉમેદવાર તરીકે તેમના પર પસંદગી ઉતારી છે ત્યારે રાજકોટ-મોરબી જીલ્લા ભાજપ દ્વારા પ્રારંભિક રીતે કાર્યકર્તા પરિચયનું આયોજન કરાયું હતું જે અંતર્ગત ટંકારા-પડધરી મત ક્ષેત્રમાં પ્રવાસ કર્યો હતો જેમાં જીલ્લા પંચાયત સીટ દીઠ કાર્યકર્તા, ચૂંટાયેલા સભ્યો, સંગઠનના આગેવાનો, સામાજિક આગેવાનો સાથે વાતચીત કરી હતી અને ચર્ચા કરી હતી.
ખુબ જ ટૂંકી નોટીસ છતાં કાર્યક્રમમાં લોકોનો ઉત્સાહ જોઇને કાર્યકરોનું મનોબળ વધ્યું છે રાજકોટ બેઠક પરથી તેઓ જંગી લીડથી ચુંટણી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ચુંટણીમાં તેઓ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 10 વર્ષમાં રાષ્ટ્ર હિતના અને સમાજ કલ્યાણ માટે જે નિર્ણયો કર્યા છે કામો કર્યા છે તેને લઈને પ્રજા પાસે જશે અને સમર્થન માંગશે તેમ જણાવ્યું હતું.