સોની બજારના વેપારીનું ઉદયપુર પાસે અકસ્માતમાં મોત
વેપારી પરિવાર સાથે ગોકુલ-મથુરા-વ્રજ દર્શનાર્થે ફરવા માટે ચાર દિવસ પહેલા રાજકોટથી રવાના થયા હતા: મૃતક વેપારી પરિવારના આધાર સ્તંભ અને ચાર બહેનના એકના એક ભાઇ હતા
રાજસ્થાનના ઉદયપુરના ખીરવાડા નજીક હાઇવે પર ટ્રક પાછળ ક્રેટા કાર અથડાતાં કારનો બૂકડો બોલી ગયો હતો. જેમાં બેઠેલા રાજકોટના સોની બજારના વેપારી 38 વર્ષિય યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું છે.
વધુ વિગતો મુજબ સોની બજાર દરબારગઢ રામનાથ મહાદેવવાળી શેરીમાં આવેલા કેશવ વીલા એપાર્ટમેન્ટમાં રહેતાં નયનભાઇ પ્રફુલભાઇ વાગડીયા-સોની (ઉ.વ.38) ક્રેટા કાર લઇને રાજકોટથી ગોકુલ-મથુરા-વ્રજ ખાતે દર્શનાર્થે અને ફરવા માટે ચાર દિવસ પહેલા રાજકોટથી રવાના થયા હતાં. તેમની સાથે પત્નિ જ્યોતિબેન (ઉ.વ.34), દિકરી રાશી (ઉ.વ.10) અને દિકરો જેનીલ (ઉ.વ.8) તથા મિત્ર ઢેબર રોડ ગુરૂૂકુળ પાસે રહેતાં ગોૈરવભાઇ હર્ષદભાઇ રાજપરા, તેના પત્નિ તન્વીબેન ગોૈરવભાઇ અને તેનો દિકરો પણ જોડાયા હતાં. ચાર દિવસ ધાર્મિક સ્થળોનો પ્રવાસ પુરો કરી લીધા બાદ ગઇકાલે રવિવારે આ બધા કાર મારફત રાજકોટ આવવા નીકળ્યા હતાં.
આ દરમિયાન રાજસ્થાન ઉદયપુર જિલ્લામાં તેમની મુસાફરી માતમમાં ફેરવાઈ ગઈ હતી. કારનો બૂકડો બોલી જતાં ગંભીર ઈજાઓ થતાં નયનભાઇ વાગડીયાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે નયનભાઇના પત્નિ, પુત્ર, પુત્રી, મિત્ર ગોૈરવભાઇ, ગોૈરવભાઇના પત્નિને ઇજાઓ થઇ હતી. ઘટનાની જાણ થતાં જ ખીરવાડા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. 108 એમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ખીરવાડાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી ડુંગરપુર હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
બાદમાં નયનભાઇના પત્નિ જ્યોતિબેન, પુત્ર જેનીલ અને પુત્રી રાશીને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં તથા ગોૈરવભાઇ અને તેના પત્નિને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમના દિકરાનો ચમત્કારીક બચાવ થયો છે.
ડુંગરપુર જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. પોલીસે મૃતક નયનભાઈના મળતદેહને ખીરવાડા સામુહીક આરોગ્ય કેન્દ્ર (સીએચસી)ના શબઘરમાં રાખીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં મૃતક નયનભાઇના રાજકોટ રહેતાં સગા-સ્વજન, મિત્રો સહિતના રાજસ્થાન ઘટના સ્થળે પહોંચ્યા હતાં. મૃત્યુ પામનાર નયનભાઇ વાગડીયા સોની બજાર સવજીભાઇની શેરીમાં જે. પી. ટાવરમાં સોની કામની દુકાન ચલાવતાં હતાં.
તેમના પિતા હયાત નથી. વૃધ્ધ માતા ભાનુબેન, પત્નિ, સંતાનોનો તેઓ આધારસ્તંભ હતાં. ચાર બહેનના એકના એક ભાઇ હતાં. પોસ્ટમોર્ટમ બાદ મૃતદહેને રાજકોટ લાવી અંતિમસંસ્કાર કરવામાં આવશે.