નિયમમાં વિસંગતતાના કારણે રાજ્યમાં છ હજાર શિક્ષકોની બદલી અધ્ધરતાલ
વિનિયમ સમિતિમાં સુધારણાનો નિયમ મુકાશે: ગાંધીનગરમાં જૂના શિક્ષકો અંગે બેઠક મળી
છેલ્લા ઘણા સમયથી શિક્ષકો તેઓનાં પડતર પ્રશ્નોને લઈ અનેક રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આજે ગાંધીનગર ખાતે અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર ખાતે અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંઘનાં નેજા હેઠળ જૂના શિક્ષકોની બદલીને લઈ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજ્ય સરકારે નિયમો સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ નિયમ વિસંગતાના કારણે 6 હજાર શિક્ષકોની બદલી અટકી છે. નિયમોમાં સુધારો કરી વતનનો લાભ આપવા માટે બેઠકમાં ચર્ચા થઈ હતી. વિનિયમ સમિતિમાં સુધારણા માટે નિયમો મુકાશે. તેમજ નિયમો સંદર્ભે સમીક્ષા કરી જૂના શિક્ષકોની બદલી માટે રજૂઆત થશે તેવો ઠરાવ કરાયો હતો.
અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંઘના પ્રમુખ મિતેષ ભટ્ટે જણાવ્યું હતું કે, આજની બેઠક છે તે શૈક્ષણિક મહાસંઘના ગ્રાન્ટેડ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની જે કેન્દ્રીયકૃત ભરતી થાય છે. અને આ કેન્દ્રીયકૃત ભરતી થયા બાદ તેઓને જીવનભર શાળા બદલવાનો એટલે કે બદલીનો લાભ નથી મળતો. આ બાબતે સ્વૈચ્છીક મહાસંઘ દ્વારા ભૂતકાળામાં રજૂઆત કરેલી હતી.
સરકાર દ્વારા એક નિયમ બનાવવાની સમિતિની રચના થઈ. જેમાં સ્વૈચ્છિક મહાસંઘનું પ્રતિનિધિત્વ હતું. નિયમ ખૂબ જ સારા બન્યા હતા. આ નિયમની અંદર 2260 શિક્ષકો પોતાના વતનનો લાભ લઈ શક્યા છે. પરંતું હજુ 6 હજારથી વધુ શિક્ષકો છે. નિયમમાં થોડી વિસંગતતાના કારણે તેઓને આ બદલીનો લાભ મળી શકતો નથી. આજે ગુજરાતભરના 300 થી વધુ શિક્ષકો આજે ઉપસ્થિત છે. એમની રજૂઆત સાંભળવામાં આવી હતી. તેમજ સરકારનાં જે નિયમો છે તેમાં કેવી રીતે સુધારો કરી આ શિક્ષકોને પોતાના વતનનો લાભ મળે તેવી શક્યતાઓ ચકાસવા માટે બેઠક બોલાવી હતી.