પર્યુષણ પર્વમાં દેરાસરોમાં ફૂલો અને હીરાની આંગીનાં દર્શન
પર્વાધિરાજ પર્યુષણના મંગલ દિવસો ચાલી રહ્યા છે સમગ્ર જૈન સમાજ મહાવીર ભક્તિમાં લીન બન્યો છે.પર્યુષણ પર્વ એટલે આત્મશુદ્ધિ, સંયમ અને ત્યાગનું પર્વ છે.પ્રાણીમાત્રને પ્રેમનો સંદેશ આપતું પર્વ એટલે પર્યુષણ,અહિંસાની આલબેલ પોકારતું પર્વ એટલે પર્યુષણ. આત્માની નિકટતા પ્રાપ્ત કરવાનું પર્વ એટલે પર્યુષણ. આવા પર્વાધિરાજ પર્યુષણ પર્વના આગમનને વધાવવા શહેરમાં આવેલા દેરાસરને ફૂલો અને રોશની વડે શણગારવામાં આવ્યા છે તેમજ ભગવાનને વિવિધ પ્રકારે આંગી વડે શણગાર કરવામાં આવ્યા છે.
શહેરના અલગ અલગ ઉપાશ્રયોમાં સાધુ ભગવંતો અને સાધ્વીજીની નિશ્રામાં તપ ત્યાગની હેલી ચડી છે. ત્યારે આઠ દિવસ સુધી દરરોજ સવારમાં પૂજા ત્યારબાદ પ્રવચન બપોરે વિવિધ કાર્યક્રમો સાંજે પ્રતિક્રમણ અને રાત્રે ભાવનાની ભક્તિમાં લોકો ભીંજાશે. શહેરના મણિયાર દેરાસરમાં, માંડવી ચોક દેરાસર સહિત દરેક દેરાસરમાં ભગવાનની ફૂલો અને હીરા, મોતીની આંગી કરવામાં આવી છે. સવારથી જ લોકો પૂજા ,પ્રવચનમાં લીન બન્યા છે. આઠ દિવસ સુધી લોકો ઉપવાસ વગેરે તપ કરી આત્મસંયમથી ઉજળા બનશે.જાગનાથ દેરાસર અને મણિયાર દેરાસરમાં ભગવાનની આંગીના દર્શન છે. (તસવીર: મુકેશ રાઠોડ)