સિદસર ઉમિયાધામના પ્રમુખ આપશે રાજીનામું: ગેરકાયદે ટોલનાકાના વિવાદ વચ્ચે જેરામ પટેલ છોડશે ખુરશી
મોરબીમાં નકલી ટોલનાકાના કેસ મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે. નકલી ટોલનાકાના કેસમાં પુત્ર આરોપી બનતા ચર્ચામાં આવેલા સિદસર ઉમિયા ધામના પ્રમુખ જયરામ પટેલ તેમના પદેથી રાજીનામુ આપી શકે છે. જોકે મહત્વની વાત એ છે કે, જેરામ પટેલની વયમર્યાદામાં હજુ છ મહિના બાકી હોવાની વાત સામે આવી છે. પરંતુ પુત્રનું નામ મોરબી નકલી ટોલનાકા મામલે સામે આવતા જ તેઓ 6 તારીખે રાજીનામું આપી શકે છે.
મળતી વિગતો મુજબ, સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામપટેલ રાજીનામું આપી શકે છે. વાંકાનેર-મોરબી હાઇવે ઉપર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ટોલનાકાની બાજુમાં જ નકલી ટોલનાકું ઊભું કરી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાના આરોપ લગાવવામાં આવ્યો છે. આ કેસમાં પાંચ આરોપીઓના નામ છે. જેમાં એક જયરામ પટેલના દીકરા અમરશી પટેલનું પણ નામ સામેલ છે. જે ફેક્ટરીમાં નકલી ટોલનાકું બનાવવામાં આવ્યું હતું એ ફેક્ટરી અમરીશ પટેલે ભાડા કરારમાં આપી હતી. આ કેસના તમામ આરોપીઓ 20 દિવસ પછી પણ ફરાર જ છે.