કોંગ્રેસના ઉમેદવારનું કોકડું ઉકેલવા શક્તિસિંહ રાજકોટમાં
- રાત્રે હાથ સે હાથ જોડો કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ રવિવારે શહેર કોંગ્રેસના આગેવાનો સાથે યોજાશે બેઠક
- લોકસભાની ચૂંટણી લડવા ઈચ્છુકોના મન જાણી કોંગ્રેસ હાઈકમાન્ડને સોંપશે રિપોર્ટ
- મોટાભાગના નેતાઓ ઈન્દ્રનીલ રાજ્યગુરુને લડાવવા તૈયાર પણ ઈન્દ્રનીલે નનૈયો ભણી વિક્રમ સોરાણી અને જયેશ ઠાકોરના નામ મુક્યા
- રાજકોટ બેઠક ઉપર હિતેશ વોરા, ડો. હેમાંગ વસાવડા અને મહેશ રાજપૂત પણ દાવેદાર, સહમતી નહીં થાય તો બેઠક એનસીપીના હવાલે
ગુજરાતમાં લોકસભાની આગામી તા. 7 મેના રોજ યોજાનાર ચૂંટણી પૂર્વે ભાજપે 22 અને કોંગ્ર્રેસે 17 ઉમેદવારો જાહેર કરી દીધા છે. જ્યારે બાકીની બેઠકોના ઉમેદવારો નક્કી કરવા કવાયત ચાલી રહી છે. ત્યારે રાજકોટની બેઠક ઉપર પૂર્વવિપક્ષી નેતા પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાની ના પાડી દેતા ગુંચવાયેલું કોકડું ઉકેલવા આજે કોંગ્રેસના પદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજે સાંજથી રાજકોટ આવી રહ્યા છે. અને આવતી કાલે સવારે રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક યોજાનાર છે.
કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના જાહેર થયાલે સત્તાવાર કાર્યક્રમ મુજબ આજે સાંજે તેઓ અમદાવાદથી રાત્રે 8:30 કલાકે રાજકોટ પહોંચશે અને નવા રિંગરોડ ઉપર મુંજકા ચોકડી પાસે રેડિયન્સ પાર્ટીપ્લોટમાં યોજાયેલ હાથ સે હાથ જોડો કાર્યક્રમ અંતર્ગત યુ ટયુબ એવોર્ડ 2024 સમારોહમાં હાજરી આપશે અને રાત્રી રોકાણ પણ રાજકોટમાં જ કરશે. જ્યારે રવિવારે સવારે 11 કલાકે રેસકોર્સ પાસે જાગનાથ પ્લોટ ખાતે હોટલ લેમનટ્રી વાળી શેરીમાં રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક યોજનાર છે.
કોંગ્રેસના સત્તાવાર સુત્રોએ જણાવ્યા મુજબ શક્તિસિંહ ગોહિલનો આ કાર્યક્રમ લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને જનરલ કાર્યક્રમ છે. પરંતુ બિનસત્તાવાર સુત્રોના કહેવા મુજબ શહેર કોંગ્રેસની આ બેઠકમાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવારનું કોકડું ઉકેલવા શક્તિસિંહ ગોહિલ પ્રયાસો કરનાર છે. આ બેઠકમાં રાજકોટમાં ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોના મન જાણી શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના હાઈકમાન્ડને રિપોર્ટ કરશે અને ત્યાર બાદ હાઈકમાન્ડ દ્વારા રાજકોટ બેઠકના ઉમેદવાર પસંદ કરવામાં આવશે અથવા તો સહયોગી પાર્ટીને આ બેઠક આપવા નિર્ણય કરશે.
કોંગ્રેસના સુત્રોના કહેવા મુજબ રાજકોટમાંથી હાલ મોટાભાગના આગેવાનો અને કાર્યકરો લોકસભાની ચૂંટણી માટે ઈન્દ્રનિલ રાજ્યગુરુનું નામ આપી રહ્યા છે. પરંતુ ઈન્દ્રનિલ રાજ્યગુરુ ચૂટણી લડવાની ના પાડી રહ્યા છે. વિકલ્પે રાજ્યગુરુએ વિક્રમ સોરાણીનું નામ રજૂ કર્યુ હતું પરંતુ આ નામ સામે શહેર અને જિલ્લા કોંગ્રેસમાં વિરોધ ઉઠતા તેણે આલ્બમ કલાકાર જયેશ ઠાકોરનું નામ રાજકોટના ઉમેદવાર તરીકે સુચવ્યું હોવાનું જણાવાય છે જો કે, આ નામ સામે પણ શહેર કોંગ્રેસના મોટાભાગના નેતાઓએ વાંધો ઉઠાવ્યો છે.
બીજી તરફ રાજકોટ બેઠક માટે પૂર્વજિલ્લા કોંગ્રોસ પ્રમુખ અને રાજકોટ ધારાસભાની ચૂંટણીમાં રમેશભાઈ ટીલાળા સામે હારેલા હિતેષ વોરા ઉપરાંત ડો. હેમાંગ વસાવડાના નામો પણ રજૂ થઈ રહ્યા છે અને આ પૈકી કોઈ ચૂંટણી લડવા તૈયાર ન થાય તો મહેશ રાજપૂતે પણ લોકસભાની ચૂંટણી લડવા તૈયારી બતાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આવતી કાલે શક્તિસિંહ ગોહિલની હાજરીમાં યોજાનાર શહેર કોંગ્રેસના આગેવાનોની બેઠકમાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર અંગે કોઈ આખરી નિર્ણય આવી જવાની ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ લોકસભા બેઠક માટે કોંગ્રેસને કોઈ સક્ષમ માથુ મળી રહ્યું ન હોવાથી એનસીપીએ આ બેઠક ઉપર દાવો કર્યો છે અને એનસીપીના તાજેતરમાં જ નવા બનેલા પ્રદેશ પ્રમુખ ચંદુલાલ વઘાસિયાએ ઈન્ડિયા ગઠબંધનમાંથી રાજકોટની ટીકીટ માંગી હોવાનો ખુલ્લો એકરાર પણ કર્યો છે. ત્યારે શક્તિસિંહ ગોહિલની હાજરીમાં રાજકોટની બેઠક અંગે કોઈ નિર્ણય લેવાય તેવી શક્યતા દર્શાવાઈ છે. કોંગ્રેસના મોટાભાગના નેતાઓનો આગ્રહ રાજકોટ બેઠક ઉપર કોંગ્રેસ જ લડે તેવો છે. રાજકોટમાં કોંગ્રેસ હારે તો પણ ઘણા નેતાઓને વાંધો નથી પરંતુ એનસીપીને ટીકીટ આપવા સામે ભારે વિરોધ જણાવાઈ રહ્યો છે.
આણંદ બેઠક ઉપર એનસીપીના જયંત બોસ્કીની લડવાની જાહેરાત
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે સહયોગી પાર્ટી ‘આપ’ને બે બેઠકો ભાવનગર અને ભરૂચ ફાળવ્યા બાદ ઈન્ડિયા ગઠબંધનની ત્રીજી સહયોગી પાર્ટી શરદ પવાર એનસીપી પણ ગુજરાતમાં લોકસભાની બેઠક માંગી રહી છે અને રાજકોટ બેઠક ઉપર શરદ પવાર એનસીપીએ દાવો કર્યો છે તેનો નિર્ણય હજુ આવ્યો નથી ત્યાં એનસીપીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જયંત પટેલ ઉર્ફે બોસ્કીએ અચાનક જ આણંદની બેઠક ઉપર ચૂંટણી લડવાની જાહેરાત કરતા રાજકીય ગરમાવો આવી ગયો છે. આણંદ બેઠક ઉપર કોંગ્રેસે વિધાનસભા વિરોધપક્ષના નેતા અમિત ચાવડાને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે. તેવા સમયે જ જયંત બોસ્કીએ આ બેઠક ઉપર ચૂંટણી લડવાની જાહેરાત કરતા જો બોસ્કી આણંદ બેઠક ઉપર ચૂંટણી લડે તો ગુજરાતમાં એનસીપી શરદ પવાર અને કોંગ્રેસ વચ્ચેનું ગઠબંધન પણ તુટી પડે તેવી સ્થિતિ સર્જાયેલ છે. દેશવ્યાપી બનેલા ઈન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ અને શરદ પવાર એનસીપી તેમજ આમ આદમી પાર્ટી સહિતની પાર્ટીઓ જોડાયેલ છે પરંતુ ગુજરાતમાં એનસીપીના પૂર્વ અધ્યક્ષે કોંગ્રેસના ઉમેદવાર સામે જ ચૂંટણી લડવાની જાહેરાત કરી ગઠબંધન ઉપર સવાલો સર્જી દીધા છે.