ગીર સોમનાથ જિલ્લાનાં ઉનામાં ડુપ્લિકેટ આધારકાર્ડ બનાવવાનું કૌભાંડ પકડાયું: ત્રણ શખ્સની કરાઇ ધરપકડ
ગીર સોમનાથ જીલ્લાના ઉનામાં ડુપ્લીકેટ આધાર કાર્ડ મામલે ઉત્તરપ્રદેશના પાંચ શખ્સોની મદદથી બે વર્ષમાં 1200 જેટલા આધારકાર્ડ બનાવેલ જેમાંથી 40 ડુપ્લીકેટ બનાવ્યાનો પ્રાથમિક તપાસમાં ઘટસ્ફોટ થતા હાલ મુખ્ય સુત્રધાર સહિત ત્રણ શખ્સોની પોલીસે અટકાયત કરી આગળ તપાસ હાથ ધરી છે. આ કૌભાંડ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલું ક્રાઈમ હોવાથી સુરક્ષાની વિવિધ એજન્સી તપાસમાં જોડાઈ છે. આગામી દિવસોમાં વધુ કેટલાક લોકોની સંડોવણી સામે આવે તેવી શકયતાઓ વર્તાઈ રહી હોવાનું પોલીસે જણાવ્યુ છે.
દેશની રાષ્ટ્રીય સુરક્ષા સામે ગંભીર સવાલ ઉભા કરનાર કૌભાંડનો જિલ્લા પોલીસે પર્દાફાશ કર્યો છે. આ અંગે જીલ્લા પત્રકાર પરીષદમાં માહિતી આપતા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવેલ કે, ઉના ખાતે બસ સ્ટેશન વિસ્તારમાં દરબારી આધાર સેન્ટરમાં ડુપ્લિકેટ કાર્ડ નીકળતા હોવાની માહિતી મળતા પોલીસે દરોડો પાડયો હતો. ત્યારે ત્યાં જે લોકોના આધારકાર્ડ નિકળી શકે તેમ ન હોય તેવા લોકોના આધાર કાર્ડ કાઢવા માટે જરૂૂરી ડોક્યુમેન્ટ ખોટા તૈયાર કરવાની કામગીરી થતી હોવાનું જોવા જાણવા મળેલ હતું.
સેન્ટરમાંથી પાંચ રજીસ્ટરો જેમાં વર્ષ 2021 થી 2023 દરમ્યાન કાઢેલ કુલ 1281 થી વધારે કાઢેલ કાર્ડની એન્ટ્રી તેમજ ગ્રાહકો પાસેથી મેળવેલ કુલ રોકડ રકમ રૂા.16,97,590 થી વધારાનો હિસાબ હતો. આ ઉપરાંત કોમ્પ્યુટર, પ્રિન્ટર, લેપટોપ, લેમીનેશન મશીન, વેબકેમેરો, ફિંગરપ્રિન્ટ, કટર મશીન, 27 આધારકાર્ડ, 6 ચૂંટણી કાર્ડ, 5 પાન કાર્ડ, 2 પાસપોર્ટ, 2 રેશનકાર્ડ, 2 ડ્રાઇવીંગ લાયસન્સ, શ્રમયોગી-આયુષમાન કાર્ડ, 14 જન્મ તારીખના દાખલા તથા રોકડ રૂા.10 હજાર મળી કુલ 97 હજારનો મુદામાલ મળી આવતા જપ્ત કરવામાં આવેલ હતો.
વધુમાં પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ કહેલ કે, આ કૌભાંડ બે-એક વર્ષથી ચાલી રહ્યુ હતું. જેમાં મુખ્ય સુત્રધાર અસલમ ઈસ્માઈલ શેખ વર્ષ 2022 થી દરબારી આધાર સેન્ટર ખોલી તેમાં સરકારી યોજનાના ફોર્મ ભરવાનું અને ડોક્યુમેન્ટ કાઢી આપવાનું કામ કરતો હતો. આ કામગીરીમાં શબ્બીર સુમરા 6 હજારના પગારથી સેન્ટરમાં કોમ્પ્યુટરની ઓનલાઈન કામગીરી કરતો જયારે જાવીદ ઉર્ફે ભુરો ઈબ્રાહીમ મન્સુરી ગ્રાહકો લઈ આવી સેન્ટરના ચોપડામાં નોંધ કરવાની કામગીરી કરવાની 6 હજારના પગારથી નોકરી કરતો હતો.
આ કૌભાંડમાં મુખ્ય સુત્રધાર અસલમ શેખએ અત્યાર સુધીમાં 1281 જેટલા કાર્ડ બનાવ્યા હોય જેમાંથી 40 ડુપ્લીકેટ બનાવ્યા હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે. આ શખ્સો નવું આધાર કાર્ડ કાઢી આપવાના રૂૂા.4 થી 23 હજારની રકમ વસુલતા, જન્મ તારીખના દાખલામાં સુધારાના રૂૂા.3 હજાર વસુલતા, મેરેજ સર્ટીફીકેટમાં સુધારાના રૂૂા.5 હજાર વસુલતા, નવો જન્મ તારીખનો દાખલો કાઢવા રૂા.2500 વસુલતા, સીનીયર સીટીઝનોનું આધારકાર્ડ કાઢવા માટે રૂૂા.15 હજાર વસુલતા, એન.આર.આઇ. લોકોના આધારકાર્ડ કાઢી આપવા રૂૂ.8 હજાર વસુલતા, નવું મેરેજ સર્ટી કાઢવાના રૂા.23 હજાર વસુલતા હતા.
અસલમ શેખ પાસે વર્ષ 2022 સુધી પોતાના આધારકાર્ડ કાઢવાના લાયસન્સ દરમ્યાન પોતે બનાવેલા ખોટા ડોક્યુમેન્ટ ઓનલાઈન સબમીટ કરાવી અન્યત્ર સીએસસી સેન્ટરમાં ફિંગરપ્રિન્ટ લેવડાવતો હતો. બાદમાં સરકાર તરફથી સીએસસી સેન્ટરોમાં આધારકાર્ડ બનાવવા તથા સુધારા કરવાની કામગીરી બંધ કરવાની આવતા અસલમ શેખએ ઉત્તરપ્રદેશના પાંચ શખ્સોનો સંપર્ક કરી ત્યાંથી ડુપ્લીકેટ આધારકાર્ડ કાઢવાની કામગીરી કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ હોય જેને લઈ આગળ તપાસ હાથ ધરી છે.
મુખ્ય ભેજાબાજ ઉચ્ચ અભ્યાસ ભણેલો
આ કૌભાંડનો મુખ્ય સુત્રધાર અસલમ શેખ વર્ષ 2015 માં બી.સી.એ.નો અભ્યાસ પુર્ણ કરી ઉનાના આધારકાર્ડ સેન્ટરમાં નોકરી કરી હતી. બાદમાં 2017 માં સી.એસ.સી. નું લાઈસન્સ મેળવી ધોરાજી મામલતદાર કચેરીમાં આધારકાર્ડનો કોન્ટ્રાક્ટ રાખેલ જે પુર્ણ થયા બાદ 2019 માં ઉનાની એસ.બી.આઇ. બેંકમાં નોકરી કરી હતી. આમ આ બધી નોકરીથી અસલમ શેખ આધારકાર્ડ કાઢવાની સમગ્ર કામગીરીથી સારી રીતે વાકેફ હોવાનું તપાસમાં સામે આવ્યુ હોવાનું એલસીબી પીઆઈ એસ.એમ.ઈશરાણીએ જણાવેલ છે.