કોંગ્રેસની ફૂટેલી તોપોથી સાચવજો: કિરીટ પટેલે તોપ ફોડી
- પાટણ લોકસભાના સંભવિત ઉમેદવાર ચંદનજી ઠાકોરને ચેતવતા કોંગ્રેસના જ ધારાસભ્ય
લોકસભા ચૂંટણીનું બ્યૂગલ વાગી ચૂક્યું છે. પાટણ લોકસભા બેઠક પર ભાજપે સીટીંગ એમપી ભરતસિંહ ડાભીને રિપિટ કર્યા છે. જ્યારે કોંગ્રેસે હજી પોતાના મૂરતિયાનું નામ જાહેર કર્યું નથી. સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરને પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહ્યા છે.ત્યારે પાટણમાં આયોજીત એક કાર્યક્રમમાં કોંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલે લોકસભાના સંભવિત ઉમેદવારને ચેતવતા કહ્યું હતું કે, કોંગ્રેસમાં ઘણીબધી ફૂટેલી તોપો છે. જે સારી સારી વાતો કરીને પાછળથી કોંગ્રેસના જ ઉમેદવારને હરાવવાની કોશિષ કરતા હોય છે. તો સાથે સાથે પોતાનું ઉદાહરણ આપી ચૂંટણી સમયે ગમે તે લોકોને પૈસા ન આપવા પણ ટકોર કરી હતી.
પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી નથી. જો કે, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરને પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહ્યા છે. પાટણમાં જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક મળી હતી. જેમાં પાટણ લોકસભા ચૂંટણીના ઈન્ચાર્જ અને પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કારોબારી બેઠકમાં પોતાના સંબોધન દરમિયાન કિરીટ પટેલે સંભવિત ઉમેદવારને ચેતવતા કહ્યું હતું કે, આપણા કોંગ્રેસમાં પણ ઘણી ફૂટેલી તોપો છે. જેઓ કાર્યક્રમમાં સ્ટેજ પર બેસશે અને સારી સારી વાતો કરશે. પણ તેઓ કોંગ્રેસના ઉમેદવારને હરાવવાનું કામ કરતા હોય છે. આવી ફૂટેલી તોપોથી ચેતવા માટે ચંદનજીને કહ્યું હતું.
પાટણના ધારાસભ્યએ કોંગ્રેસમાં ભામાશાની છાપ ધરાવતા નેતાઓને પણ ટકોર કરતા કહ્યું હતું કે, ચૂંટણી ભામાશાથી નહીં પણ મેનેજમેન્ટથી જીતાય છે. કિરીટ પટેલે હળવા અંદાજમાં કહ્યું હતું કે, એ બે લોકોને ભામાશા કહો છો તો મારું નામ લુખ્ખાસન આપો. આ બંને ભામાશા બેઠા છે. હું જાહેરમાં કહું છું કે મારા જોડે કોઈએ એક રૂૂપિયા માટે આવવું નહીં. જ્યારે આ બંને ભામાશા તૂટી પડે છે, લે લઈ જા પાંચ લાખ, લઈ જા એક લાખ. તોય કહે અમે હારી ગયા. એટલે કહું છું કે, ભામાશાથી ચૂંટણી લડાતી નથી. ચૂંટણી મેનેજમેન્ટથી લડાય છે.
પાટણના કોંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલે આજે તો હળવા મૂડમાં કોંગ્રેસની ફૂટેલી તોપોની વાત કરી હતી. પરંતુ, આ બાબતને લઈ ત્રણ મહિના પહેલા પણ ખુલ્લીને નારાજગી વ્યકત કરી ચૂક્યા છે. જે તે સમયે કહ્યું હતું કે, મને હરાવાવનો પ્રયાસ કરનારને પક્ષમાં હોદા આપવામાં આવે છે. વિધાનસભા ચૂંટણીમાં જે લોકોએ પક્ષવિરોધી પ્રવૃતિ કરી હતી તેની તેઓએ લેખિતમાં રજૂઆત કરી હતી. તેમ છતાં એ લોકોને દૂર કરવાના બદલે હોદા આપવામાં આવ્યા હોવાની રજૂઆત કરી હતી.