સોમનાથના સાનિધ્યમાં સરદારયાત્રાનું સમાપન
સોમનાથના પવિત્ર પરિસરમાં એક અનોખો પ્રસંગ સર્જાયો. બારડોલીથી શરૂૂ થયેલી 12 દિવસીય સરદાર સન્માન યાત્રાનો સમાપન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં થયો. આ યાત્રા માત્ર પગલાંઓની સફર નહોતી, પરંતુ સરદાર સાહેબના વિચારોને જન જન સુધી પહોંચાડતી એકતા અને રાષ્ટ્રીય ભાવનાની ઝળહળતી ઝાંખી હતી.
11 સપ્ટેમ્બરથી શરૂૂ થયેલી આ યાત્રાએ 1800 કિલોમીટરની સફર દરમિયાન 18 જિલ્લાઓ, 62 તાલુકાઓ અને 355 ગામોને જોડ્યા. 40 નદીઓના જળ સાથે જોડાયેલી આ યાત્રા અંતે, સોમનાથ ખાતે સરદાર પટેલની પ્રતિમાને આ નદીઓના જળથી જળાભિષેક કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. તે ક્ષણમાં એકતા, શ્રદ્ધા અને ગૌરવના સંગમનો અનુભવ સૌને થયો.
આ પ્રસંગે વિવિધ સ્ટેટના રાજવી પરિવારો ખાસ ઉપસ્થિત રહ્યા. જામનગર સ્ટેટના યુવરાજ અજયકુમારસિંહ જાડેજા, કચ્છ સ્ટેટના યુવરાજ પ્રતાપસિંહ જાડેજા, છોટાઉદેપુરના મહારાવલ જયપ્રતાપસિંહ ચૌહાણ, લાઠીના ઠાકોર સાહેબ કીર્તિકુમાર ગોહિલ, માંડાવડના દરબાર પૂંજાબાપુ વાળા, સુદમડા-ધંધાલપુરના દરબાર વનરાજસિંહ ખવડ સહિત અનેક રાજવી પરિવારોને ગોપાલભાઈ ચમારડી પરિવાર દ્વારા સન્માનિત કરાયા. વડતાલના એસ.પી. સ્વામી, પ્રભાસ પાટણના ભક્તિપ્રિયદાસ, ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલ સહિત અનેક સંતો-મહંતો અને સામાજિક-રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા. તેમના આશીર્વચન અને સંદેશાઓએ પ્રસંગને આધ્યાત્મિકતા અને પ્રેરણાની ઊંચાઈ આપી.
રાજવી પરિવાર ના જામનગર સ્ટેટના યુવરાજ અજયકુમારસિંહજી જાડેજાએ પ્રસંગોચિત પોતાના ઉદબોધનમાં રાજવી પરિવારોના સન્માન બદલ ગોપાલભાઈ ચમારડી પરિવારનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોને જન જન સુધી પહોંચાડવાના આ ઉમદા કાર્યને અમો બિરદાવીએ છીએ અને આ યાત્રા ભવિષ્યમાં દેશ લેવલે પણ યોજાઈ એવી શુભેચ્છાઓ પાઠવી હતી. યાત્રાનું સમાપન સોમનાથના દ્વારે થતાં જ એક અનોખી લાગણી સૌના હ્રદયમાં છવાઈ ગઈ. દિગ્વિજયસિંહ દ્વાર પાસે ઉભા રહી સૌએ અનુભવ્યું કે આ માત્ર યાત્રા નહોતીઆતો સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપતી અને ભારતની એકતાને ઉજાગર કરતી એક અમર યાદગાર બની ગઈ. સરદાર પટેલની 150મી જન્મજયંતિ પૂર્વે યોજાયેલી આ સરદાર સન્માન યાત્રા ઈતિહાસમાં એક જીવંત અધ્યાય બની રહેશે.