સરદાર સરોવર ડેમ 90 ટકા ભરાયો, 9 દરવાજા 1.5 મીટર ખોલાયા
ઉપરવાસમાંથી 2.74 લાખ કયુસેક પાણીની આવક, નદી-કેનાલમાં 1.52 લાખ કયુસેક પાણી છોડવાનું ચાલુ
ગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં આજે પણ વધારો નોંધાયો છે. હાલ સરદાર સરોવર ડેમની સપાટી આ સિઝનમાં પહેલીવાર 135.67 મીટર પર પહોંચી છે. નર્મદા નદીમાં ઉપરવાસમાંથી 274004 ક્યુસેક પાણીની આવક થઇ છે. નર્મદા ડેમમાં 8518.70 મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. હાલ નર્મદા ડેમ 90 ટકા ભરાયો છે. હવે સરદાર સરોવર ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટરથી માત્ર ત્રણ મીટર જેટલો જ દૂર છે. હાલ નર્મદા ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા છે. તો બીજી બાજુ આ દરવાજા ખોલાતા આસપાસના તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ઉપરવાસમાંથી પાણીની આવક નોંધાતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે. નર્મદા ડેમની જળ સપાટી આ ચોમાસામાં પ્રથમવાર 135.67 મીટર પર પહોંચી ગઇ છે. મળતી માહિતી પ્રમાણે, ઉપરવાસમાંથી 2,73900 ક્યુસેક પાણીની આવક થઇ છે. નર્મદા ડેમમાં 8518.70 મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. ડેમ દરવાજામાંથી 18603 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા શિનોર, ડભોઈ અને કરજણ તાલુકાના 25 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યાં છે. જ્યારે આ ગામડાઓના તલાટી અને તાલુકના પ્રાંત અધિકારીને નીચાણવાળા વિસ્તારોમાં કોઈ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે સાવચેતી રાખવાની સાથે યોગ્ય પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. આ સાથે 25 ગામડાઓના લોકોને નદીના પટમાં ન જવા અપીલ કરવામાં આવી છે.
બીજી બાજુ વડોદરા જિલ્લાના ડભોઈના યાત્રાધામ ચાંદોદમાં નર્મદા નદી બંને કાંઠે વહેતી જોવા મળે છે. તેવામાં મલ્હારરાવ ઘાટ અડધો ખાલી હોવાથી હાલની સ્થિતિએ નર્મદા નદી ભયજનક સપાટીથી બહાર છે. જ્યારે નદીમાં પાણી છોડવામાં આવતા મલ્હારરાવ ઘાટના 108માંથી 53 પગથિયા પાણીમાં ડૂબી ગયા છે. બીજી તરફ, નર્મદા નદીમાં પાણી છોડવાની સાથે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂૂપે પોલીસ કર્મચારીઓને ગોઠવી દેવામાં આવ્યાં છે.
આ અંગે વડોદરા જિલ્લાના ઈન્ચાર્જ કલેક્ટરે જણાવ્યું હતું કે, નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતાની સાથે નદી કિનારા શિનોર તાલુકાના અંબાલી, બરકાલ, દિવેર, માલસર, કંજેઠા, માંડવા, દરિયાપૂરા, મોથેલા, ઝાંઝડ, સુરાશામળ, ડભોઈ તાલુકાના નંદેરિયા, ચાંદોદ, કરનાળી અને કરજણ તાલુકાના સોમજ, દેલવાડા, અરજપુરા, પુરા, આલમપુરા, નાની કોરલ, મોટી કોરલ, રાજલી, લીલાઈપુરા, જૂના સાયર, ઓઝ, સાગરોલ સહિત 25 ગામડાઓને સાવચેતી રાખવાની સાથે સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
જ્યારે આ ગામડાઓના તલાટી અને તાલુકના પ્રાંત અધિકારીને નીચાણવાળા વિસ્તારોમાં કોઈ પ્રકારની દુર્ઘટના ન બને તેને લઈને યોગ્ય પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.