સાયચા ગેંગનો સાગરીત સાત દી’ના રિમાન્ડ પર
- વકીલ હારૂન પલેજા હત્યા કેસના અન્ય આરોપીઓ હજુ ફરાર
જામનગરના સિનિયર વકીલ હારુન પાલેજાની ગત બુધવારની સાંજે ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ લોહિયાળ ઘટનામાં બેડીની માથાભારે સાયચા ગેંગની સંડોવણી ખુલતા આ ગેંગના કુખ્યાત 15 જેટલા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી એક આરોપીને દબોચી લીધો છે.જેના રિમાન્ડની માંગ સાથે ગઈકાલે સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કોર્ટ દ્વારા આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.
આ અંગે જાણવા મળતી વિગત એવી છે કે આશરે એકાદ સપ્તાહ અગાઉ ગત બુધવારે જામનગરના બેડીમાં રોઝુ છોડવા જતા સિનિયર વકીલ હારુન પલેજા પર ટોળાએ હુમલો કર્યો હતો. પથ્થર મારો કર્યા બાદ હારુન ભલેજા પર હુમલો કરી તેમની કરપીણ હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ આ પ્રકરણમાં શિક્ષિકા આપઘાત કેસના વકીલ તરીકે રોકાયેલો હોવાનો ખાર રાખી માથાભારે સાયચા ગેંગના શખ્સોએ હુમલો કરી હારુન પલેજાની હત્યા કરી હતી.
ત્યારબાદ મૃતક હારુન પલેજાના ભત્રીજા અને વોર્ડ નંબર એકના કોર્પોરેટર નૂરમામદ પલેજાએ 15 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ આરોપીઓને દબોચી લેવા પોલીસ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી કાર્યવાહીનો ધમધમા ચાલી રહ્યો છે. તેવામાં આ ગેંગના બસીર જુસબ સાયચા નામનો એલસીબીની ઝપટે ચડતા પોલીસે તેની અટકાયત કરી લીધી છે.
પોલીસ દ્વારા આ આરોપીની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવ્યા બાદ સીટી બે ડિવિઝન પોલીસ સ્ટાફને કબજો સોંપવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા તેના 14 દિવસની રિમાન્ડની માંગ સાથે ગઈકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન દલીલોને ધ્યાનમાં રાખી આરોપી બસીર સાઈજાના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન નવા ધડાકાભળાકા થઈ શકે છે. બીજી તરફ પોલીસ દ્વારા હાલ ફરાર આરોપીઓને શોધવા કવાયત હાથ ધરવામાં આવી છે.