ગુજરાતના કવિ વિનોદ જોશીને સાહિત્ય અકાદમી એવોર્ડ
સાહિત્ય અકાદમી પુરસ્કાર 2023થી સન્માનિત થનારા સાહિત્યકારોના નામની જાહેરાત થઈ ગઈ છે. આ વખતે આ પુરસ્કાર નવલકથા શ્રેણીમાં હિન્દીના સંજીવ અને અંગ્રેજી માટે નીલમ સરન ગૌરને આપવામાં આવશે. ઉર્દૂ શ્રેણીમાં સાદિક નવાબ સહરની પસંદગી થઈ છે. અકાદમીના સચિવ કે શ્રીનિવાસે આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, અકાદમીએ નવ કવિતા-સંગ્રહ, છ નવલકથા, પાંચ વાર્તા સંગ્રહ, ત્રણ નિબંધ તથા એક વિવેચનના પુસ્તકને પુરસ્કાર તરીકે પસંદગી કરવામાં આવી છે.
અકાદમીના સચિવ શ્રીનિવાસના જણાવ્યા અનુસાર, હિન્દીમાં આ વખતે સાહિત્ય અકાદમી પુરસ્કાર સંજીવને તેમની નવલકથા ‘મુઝે પહચાનો’ માટે આપવામાં આવ્યો છે. આ ઉપરાંત અંગ્રેજી નવલકથા ‘રીક્વીમ ઈન રાગા જાનકી’ માટે નીલમ ગૌર, પંજાબીમાં સ્વર્ણજીત સવીને તેમના કવિતા સંગ્રહ ‘મન દી ચિપ’ તથા ઉર્દૂમાં નવલકથા ‘રાજદેવ કી અમરાઈ’ માટે સાદિક નવાબ શહરને સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રદાન કરવામાં આવશે.
શ્રીનિવાસ રાવે જણાવ્યું છે કે, આ ઉપરાંત ડોગરીના વિજય વર્મા, ગુજરાતીમાં વિનોદ જોશી, કશ્મીરીમાં મંશૂર બનિહાલી, મણિપુરીમાં સોરોખ્ખૈબમ ગંભિની, ઓડિયામાં આશુતોષ પરિડા, રાજસ્થાનીમાં ગજેસિંહ રાજપુરોહિત, સંસ્કૃતિમાં અરુણ રંજન મિશ્ર, સિંધીમાં વિનોદ આસુદાનીને પુરસ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત બાંગ્લા માટે સ્વપનમય ચક્રવર્તી, મરાઠી માટે કૃષ્ણાત ખોત, તમિલ માટે રાજશેખરમને પ્રતિષ્ઠિત સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.