For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સલામતીના કાયદા કાગળ પર, બે વર્ષમાં 227 શ્રમિકોનાં મોત

04:18 PM Oct 16, 2024 IST | Bhumika
સલામતીના કાયદા કાગળ પર  બે વર્ષમાં 227 શ્રમિકોનાં મોત
Advertisement

સરકારી તંત્ર દ્વારા ચેકિંગના નામે મીંડું, અનેક પગલાં છતાં અકસ્માતો અટકતા નથી

કડી તાલુકાના જાસલપુર ગામમાં બાંધકામ દરમિયાન મૃત્યુ પામેલા 9 શ્રમિકોના મૃત્યુ બાદ કામના સ્થળે બાંધકામ કામદારોની સલામતી મુદ્દે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવા અને દુર્ઘટના માટે જવાબદાર માલિક અને બેજવાબદારી માટે અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલા લેવાની બાંધકામ મજદૂર સંગઠનોના અગ્રણીઓએ માગણી કરી છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં કુલ 227 બાંધકામ શ્રમિકોના મૃત્યુ થયા છે ત્યારે સરકારી વિભાગ આ મામલે સાઇટ ઉપર સુરક્ષાને લગતું ચેકિંગ વધારે તેવી માગ પણ કરાઇ છે.

Advertisement

બાંધકામ શ્રમિક સંકલન સમિતિ દ્વારા જિલ્લા કલેકટર મારફત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને અપાયેલા આવેદનપત્રમાં તાજેતરમાં બાંધકામ સાઇટ ઉપર બેદરકારીથી શ્રમિકો ઉપર જોખમ વધી રહ્યું હોવાનું જણાવાયું હતું. બે વર્ષ પૂર્વે અમદાવાદમાં ગુલબાઇ ટેકરામાં બાંધકામ સાઇટ ઉપર અકસ્માતમાં 7ના મૃત્યુ પછી જાસલપુરમાં 9 કામદારોના મૃત્યુ થયા છે. 2022માં ગુજરાતમાં 119 અને અમદાવાદમાં 55 તેમજ 2023માં ગુજરાતમાં 108 અને અમદાવાદમાં 30 કામદારો અકસ્માતે મૃત્યુ પામ્યાની અધિકૃત માહિતી છે. સૌથી વધુ મૃત્યુ ચાલુ કામ દરમિયાન ઉપરથી નીચે પડવાથી અને ભેખડ ધસી પડવાના કારણે થઇ રહ્યા છે. 2008થી 2023 સુધીમાં ગુજરાતમાં 1500થી વધુ શ્રમિકોએ જીવ ગૂમાવ્યા હોવાનું પણ આવેદનમાં જણાવાયું છે.

રાજ્યમાં સ્થળાંતરિત આદિવાસી બાંધકામ કામદારો અસલામત સ્થિતિ વચ્ચે કામ કરી રહ્યા હોવાનું કહેતા સમિતિના સંયોજક વિપુલ પંડ્યાએ જણાવ્યું હતું કે પરિવાર માટે વળતરની જાહેરાત થાય અને ફોજદારી કેસ દાખલ કરાય પછી બધુ ભૂલી જવાતું હોય છે. જીડીસીઆર-2021 મુજબ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર જ્યારે બાંધકામની રજા ચિઠ્ઠી આપે ત્યારે સાવચેતી રાખવાની લેખિત બાંહેધરી બિલ્ડર કે ઓનર-ડેવલપર્સ પાસેથી મેળવતા હોય છે. કામદારોની સુરક્ષા સહિતની બાબતોના પાલન માટે સિવિલ એન્જીનીયરીંગની ડિગ્રી મેળવેલા 14 નિરીક્ષકની નિમણૂક કરાઇ છે તેમ છતાં અકસ્માતો અટકતા નથી હોવાનું કહેતા કાયદા કાગળ ઉપર જ રહ્યા હોવાનું તેમણે કહ્યું હતું. બાંધકામ ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર જોખમી સાબિત થતો હોવાનું પણ તેમણે કહ્યું હતું. કામદાર બોર્ડમાં નોંધાયેલા ન હોય તો પણ તેને વળતર ચૂકવાય તેવી માગણી પણ તેમણે કરી હતી.

શ્રમિકોનાં મોતની ઘટનાઓમાં પોલીસ દ્વારા કાયદાનો મનઘડત અમલ
બાંધકામ સાઇટ કે, મોટા ઇન્ડસ્ટ્રીઝમાં અકસ્મીક મોતની ઘટનાઓમાં ફોજદારી કાયદાની વ્યાખ્યાઓ પણ અલગ-અલગ કરવામા આવે છે. મોટાભાગના કિસ્સાઓમાં માલિકોના બદલે મેનેજર કે સુપરવાઇઝરો સામે ગુનોનોંધી પ્રકરણ પૂરૂ કરી દેવામાં આવે છે. જ્યારે અમૂક જ બનાવોમાં માલિકો સામે ગુનો નોંધવામા આવે છે જેના કારણે શ્રમિકોની સેફટી બાબતે માલિકો ગંભીરતા દાખવતા નથી. હાઇકોર્ટ ભૂતકાળમાં અનેક કિસ્સાઓમાં શ્રમિકોની આકસ્મીક મોતની ઘટનાઓમાં માલિકો સામે ગુનો નોંધવા ચૂકાદા આપ્યા છે. પરંતુ પોલીસ તંત્ર કાયદાનું મનધડત અર્થઘટન કરે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement