રૂપાણી-રૂપાલા અને માંડવિયા સભ્ય ન હોવા છતાં ચૂંટણી સમિતિની બેઠકમાં હાજર
દિલ્હીમાં ગુજરાતના લોકસભાના ઉમેદવારો નક્કી કરવા ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ચાલી રહી છે. ત્યારે ચૂંટણી સમિતિના સભ્ય ન હોવા છતાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીયમંત્રી ડો. મનસુખ માંડવિયા અને કેન્દ્રીયમંત્રી પરસોતમભાઈ રૂપાલાને ચૂંટણી સમિતિની બેઠકમાં હાજર રાખવામાં આવ્યા છે.
સામાન્ય રીતે કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં રાજ્યના મુખ્યમંત્રી, પ્રદેશપ્રમુખ અને સંગઠન મહામંત્રી સભ્ય હોય છે. પરંતુ આ વખતે ભાજપે ગુજરાતના ઉમેદવારોની ચર્ચા કવા માટે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપરાંત બન્ને કેન્દ્રીયમંત્રીઓને પણ બેઠકમાં હાજર રાખ્યા હોવાથી ભાજપ તમામ નેતાઓની સર્વસંમતિથી ઉમેદવારો ફાઈનલ કરવા માંગતું હોય તેવું જણાય છે. વિજયભાઈ રૂપાણીને પંજાબના પ્રભારી બનાવાયા બાદ ગુજરાતના ઉમેદવારો નક્કી કરવા સમયે અચાનક તેમનું વજન વધ્યું છે તે સુચક મનાય છે.
ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરજી સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પણ દિલ્હીનું તેડું આવતા તેઓ પણ આ નેતાઓની સાથે દિલ્હી પહોંચ્યા હતા, જ્યારે રૂપાલા અને માંડવિયા દિલ્હીમાં જ હાજર હોય બેઠકમાં જોડાયા હતાં.સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગઈકાલે સાંજે ભાજપના કોર ગૃપની બેઠકમાં આ તમામ નેતાઓ હાજર રહ્યા હતાં. અને ગુજરાતના ઉમેદવારો અંગે ચર્ચા કરી હતી.