અમદાવાદની ટિકિટ ફગાવનાર રોહન ગુપ્તાનું કોંગ્રેસમાંથી રાજીનામુું
- કોંગ્રેસની ડૂબતી નાવમાંથી વધુ એક નેતા કુદ્યા, દ્વારકાના એભાભાઇ કરમુરે પણ પાર્ટી છોડી
ગુજરાતમાં લોકસભાની ચુંટણી સમયે જ કોંગ્રેસની ડુબતી નાવ છોડી અનેક નેતાઓ ભાજપમાં કુદી રહ્યા છે ત્યારે અમદાવાદ પુર્વની બેઠક ઉપરથી કોંગ્રેસની ટિકિટ ફગાવના રોહન ગુપ્તાએ આજે કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દેતા કોંગ્રેસને વધુ એક આંચકો લાગ્યો છે. આગામી દિવસોમાં રોહન ગુપ્તા પણ અન્ય નેતાઓની માફક ભાજપમાં જોડાય તેવી અટકળો થઇ રહી છે.આ સિવાય દેવભૂમિ દ્વારકા જિલ્લાના આહીર સમાજના અગ્રણી અને દ્વારકા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી એભાભાઇ કરમુરે પણ કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધુ છે અને હવે ભાજપમાં જોડાઇ રહ્યાની ચર્ચા છે.
ગત 18 માર્ચના રોજ લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ બેઠક પરથી રોહન ગુપ્તાએ ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ આજે કોંગ્રેસમાંથી પણ રાજીનામું ધરી દીધું છે.ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ જ રોહન ગુપ્તા પક્ષમાંથી રાજીનામું આપે એવી પણ ચર્ચા ચાલી હતી. આ અટકળોનો આજે અંત આવી ગયો છે. ઉમેદવારી પાછી ખેંચતી વખતે રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે મારા પિતા બીમાર છે. મારા પિતા હું ચૂંટણી લડું એ માટે તૈયાર નહોતા છતાં મેં તેમની સાથે વાત કરીને ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂૂ કરી દીધી હતી. ત્યાર બાદ મારા પિતાએ મારી પાસેથી ચૂંટણી ન લડવાની ખાતરી લીધા બાદ દવા લીધી, જેથી પરિવાર બચાવવા માટે મેં ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.
રોહન ગુપ્તાનું 12 માર્ચે નામ જાહેર થયું અને 6 દિવસમાં જ તેમણે ઉમેદવારી નહીં કરવાનો પત્ર પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલને મોકલી દીધો હતો.પત્રમાં ગુપ્તાએ કહ્યું હતું કે, પિતા રાજકુમાર ગુપ્તાની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ કારણથી તેમણે રાજીનામું આપ્યું છે.ઉલ્લેખનીય છે કે, 20 જૂન 2022ના રોજ રોહન ગુપ્તાને રાષ્ટ્રીય કક્ષાના પ્રવક્તા બનાવવામાં આવ્યા હતા. જો કે, આ પહેલાં તેઓ સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના ચેરપર્સન તરીકે કાર્યરત હતા.ગુજરાતના પીઢ કોંગ્રેસ નેતા રાજકુમાર ગુપ્તાના પુત્ર રોહન ગુપ્તાએ પૂણેની ખાનગી કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે. તેઓ 2012માં કોંગ્રેસમાં સામેલ થયા હતા અને ત્યારબાદ વિવિધ હોદ્દાઓ પર રહ્યા હતા.રાજકુમાર ગુપ્તાએ વર્ષો સુધી ગુજરાત કોંગ્રેસમાં મહત્ત્વની જવાબદારી નિભાવી છે.
- રોહન ગુપ્તા ગદ્દાર, પક્ષની માહિતી લીક કરતા હતા
- કોંગ્રેસ પ્રવકતાઓના ગંભીર આરોપ
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા રોહન ગુપ્તએ અમદાવાદ પૂર્વની ટીકીટ ફગાવ્યા બાદ આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધા બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા હેમાંગ રાવલ અને મનિષ દોશીએ પત્રકાર પરિષદ યોજી રોહન ગુપ્તા ગદ્દાર હોવાનો આક્ષેપ કર્યો હતો અને જણાવ્યું હતું કે, રોહન ગુપ્તા કોંગ્રેસમાં રહીને પાર્ટીની માહિતી લીક કરતા હતાં. આ અંગે મનીષ દોષીએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષના તમામ નાના મોટા નેતાઓ તેમની પ્રવૃતિઓથી વાકેફ હતાં. તેમના કાચા ચીઠ્ઠા ખુલા પડી ગયા છે.તેમના પિતાની ગંભીર બિમારી સમયે હોસ્પિટલમાં કોંગ્રેસના બધા નેતાઓ હાજર હતાં. જ્યારે પક્ષે તેમને ટિકીટ આપી ત્યારે પણ તેઓ આવી પ્રવૃતિઓ કરી રહ્યા હતાં.