હાર્ટએટેકનો વધતો કહેર: રાજકોટમાં વધુ એક જિંદગી ધબકારા ચૂકી ગઈ
- પ્રૌઢને આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડતા પરિવારમાં શોક
રાજકોટ સહિત રાજ્યભર હદયરોગના હુમલાના કારણે અનેક માનવ જિંદગી ધબકારા ચૂકી ગઈ છે. ત્યારે રાજકોટમાં વધુ એક પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં કોઠારીયા મેઇન રોડ ઉપર રણુજા મંદિર સામે આવેલી ઋષિપ્રસાદ સોસાયટીમાં રહેતા ભરતભાઈ ગોવિંદભાઈ સરવૈયા નામના 45 વર્ષના પ્રૌઢ પોતાના ઘરે હતા ત્યારે સાંજના છએક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. પ્રૌઢને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારગત નિવડે તે પૂર્વ જ ફરજ પરના તબીબે જોઈ તપાસી પ્રૌઢનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો પોલીસે જરૂરી કાર્યવાહી કરી પ્રૌઢના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક ભરતભાઇ સરવૈયા બે ભાઈ એક બહેનમાં નાના અને અપરિણીત હતા અને ભરતભાઈ સરવૈયા ચાંદી કામ કરી પરિવારને આર્થિક મદદ કરતા હતા. અને ભરતભાઈ સરવૈયાનું હૃદયરોગના હુમલાના કારણે મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલોસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.