ગોંડલ સાથેની જૂની અદાવતમાં રીબડાવાળાને ‘ફીટ’ કર્યા
રીબડાના અમિત ખુંટના આપઘાત કેસમાં અનિરૂધ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજા નિર્દોષ હોવાની કલેકટર સમક્ષ ટોળાની રજૂઆત
એક હજારથી વધુ લોકોએ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું, ન્યાયિક તપાસની માંગણી
મોડલ ઉપર દુષ્કર્મ મામલે જેના સામે ફરિયાદ નોંધાઈ હતી તે રિબડાના અમીત દામજીભાઈ ખુંટ નામના યુવાનના આપઘાત પ્રકરણમાં સ્યુસાઈડ નોટના આધારે પોલીસે દુષ્કર્મનો ભોગ બનેલી યુવતી અને તેની સહેલી ઉપરાંત રિબડાના અનિરૂધ્ધસિંહ મહીપતસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા સામે આપઘાત માટે મજબુર કરવા અને પૂર્વ આયોજિત કાવતરાની કલમ હેઠળ નોંધ્યા બાદ આ મામલે રીબડા અને ગોંડલ વચ્ચેની વાતાવરણ ગરમાયું છે. ફરિયાદ બાદ રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહના સમર્થનમાં આજે તેના સમર્થકોએ રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપી નિશપક્ષ તપાસ કરવાની માંગ કરી હતી. આ મામલો ધીમે ધીમે વધુ ઉગ્ર બનતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ગોંડલ સાથેની જુની અદાવતમાં રીબડા વાળાને ફીટ કર્યાના આક્ષેપ સાથે આજે એક હજાર જેટલા લોકોએ કલેકટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચી અનિરૂધ્ધસિંહ અને રાજદીપસિંહ નિર્દોષ હોવાની રજૂઆત કરી ન્યાયીક તપાસની માંગણી કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, આ મામલે ગુનો નોંધવા માટે માજી ધારાસભ્ય જયરાજસિંંહ તથા તેના પુત્ર જયોતીરાદિત્યસિંહ અને રાજકોટનાં પાટીદાર આગેવાનો ગોવિંદભાઈ ભગવાનજી સગપરીયાએ પોલીસ ઉપર દબાણ લાવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ મામલે ગુનાના કામે ભૂમિકાને ધ્યાનમાં લઈ પોલીસ કાર્યવાહી અર્થે નોટિસ કરી રૂબરૂ બોલાવી મૃતકના સ્યુસાઈડ નોટ અને ફરિયાદીના આરોપને મળતું સમર્થન હોય તેવા સંજોગોની પોલીસ તેઓની સામે કાર્યવાહી કરે તેવી ન્યાયીક માંગ કરી હતી.
ઉપરાંત રજૂઆતમાં ગોંડલમાં અનિરૂધ્ધસિંહ મહીપતસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વચ્ચે રાજકીય અદાવત હોય જયરાજસિંહ દ્વારા કાનૂની પ્રક્રિયાને હથિયાર બનાવી સામાજિક અને રાજકીય અસ્તીતત્વ પુરુ કરવા અનિરૂધ્ધસિંહ અને તેના પુત્રને ફીટ કરી દીધાનો આક્ષેપ કરાયો છે.
સ્યુસાઈટ નોટનો એફએસએલ રિપોર્ટની રાહ જોયા વિના ગુનો નોંધાયાનો આક્ષેપ
આવેદનપત્રમાં જણાવ્યું છે કે આ ગુનો નોંધવામાં પોલીસે જે ફરજ બજાવેલ છે તે પ્રકારની ફરજ અગાઉ ચકચારી રાજકુમાર રતનલાલ જાટના મૃત્યુ સંદર્ભે કે જેમાં જયરાજસિંહના બંગલામાં રાજકુમાર જાટ અને તેના પિતાને માર મારવાના ગુનામાં પોલીસે જયરાજસિંહની દબંગાઈના કારણે ગુનો નોંધ્યો નથી. રાજકુમાર જાટના પિતાના કથન મુજબ કોઈ કાર્યવાહી કરી શકેલ નથી. આમ આ ગોંડલ વિસ્તારની પોલીસ જયરાજસિંહના દબંગગીરીથી દબાણમાં રહીને પોતાની ફરજ બજાવી રહેલ છે. તે પુરવાર થઈ ચુકેલ છે. આ ગુનો નોંધવામાં પોલીસે દબાવમાં રહીને સ્યુસાઈટ નોટના એફએસએલ રિપોર્ટની રાહ જાયા વિના ગુનો દાખલ કરેલ છે જેમાં આરોપીઓને પોતાની બચાવ પક્ષ રાખવાના તેઓના અધિકારો અબાધિત રાખતા ન્યાયના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.