47 કેસની સમીક્ષા, 3 કેસમાં ગુના દાખલ કરવા લેન્ડ ગ્રેબિંગ કમિટીનો આદેશ
કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં 26 કેસમાં સમાધાન
રાજકોટ શહેર જિલ્લામાં જમીન પચાવી પાડવાના બનાવો વધી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે ભૂમાફિયાઓને અંકુશમાં લાવવા માટે લેન્ડગ્રેબીંગનો અલગથી કાયદો બનાવ્યો છે. જેમાં જેની સત્તા કલેક્ટરને આપવામાં આવી છે. લેન્ડગ્રેબીંગ હેઠળ થતી અરજીઓમાં પુરાવાની સમીક્ષા કરી ત્યાર બાદ જ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવે છે. જેમાં ગઈકાલે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી લેન્ડગ્રેબીંગ કમિટીમાં 3 કેસમાં ગુના દાખલ કરવા આદેશ કરવામાં આવ્યા છે.
રાજકોટના કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને ગઈકાલે બપોર બાદ લેન્ડગ્રેબીંગની કમિટી મળી હતી. જેમાં 47 કેસ મુકવામાં આવ્યા હતાં. જેના પુરાવાની તુલના કરવામાં આવી હતી. 47 કેસમાંથી 26 કેસમાં બન્ને પક્ષકારો વચ્ચે સમાધાન થઈ જતાં પડતા મુકાયા હતાં. જ્યારે 3 કેસમાં પુરાવાની તુલના કરી ગુના દાખલ કરવા આદેશ કરવામાં આવ્યો છે. જ્યારે બાકીના કેસ પરત મોકલવામાં આવ્યા હતાં.
રાજકોટ શહેરમાં બે અને રાજકોટ જિલ્લામાં એક મળી કુલ 3 કેસમાં લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. લેન્ડગ્રેબીંગ એક્ટની જોગવાઈ મુજબ આ ગુનાની તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકરીઓને સોંપવામાં આવી છે. ત્યારે ટુંક સમયમાં લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ વધુ 3 ગુના દાખલ થાય તેવા નિર્દેશો મળી રહ્યા છે.