મોટી ખાવડી સ્થિત રિલાયન્સ મોલ ભીષણ આગમાં ભસ્મીભૂત
30 ફાયર ફાઈટરની જહેમત બાદ આગ કાબૂમાં, મોલ બંધ હોવાથી જાનહાનિ ટળી: અનંત અંબાણી, કલેક્ટર, પોલીસવડા સહિતનો કાફલો દોડયો, આગના કારણની તપાસના આદેશ
જામનગર નજીક મોટી ખાવડી પાસે રિલાયન્સ મોલમાં ગતરાતે ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા. આગની ઘટનાની જાણ થતાં જ જામનગરથી ફાયર ફાઈટરની ટીમ રવાના કરવામાં આવી હતી. વિકરાળ આગ હોવાના મોલની અંદર અને બહાર રસ્તા પર દોડધામ મચી ગઈ હતી. મોલની નજીક જ જામનગર-ખંભાળિયા હાઈવે હોવાથી ત્યા ટ્રાફિક જામ સર્જાય નહીં તે માટે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી પણ રાત્રે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને નિરિક્ષણ કર્યું હતું સવાર સુધીમાં આગ પર કાબુ મેળવી લીધાનું અને મોલ સંપૂર્ણ પણે આગમાં ખાક થઈ ગયાનું ફાયર વિભાગે જણાવ્યું હતું.
જિલ્લા કલેક્ટર, એસડીએમ, જિલ્લા પોલીસ વડા સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જિલ્લાની મોટાભાગની પોલીસ ઘટનાસ્થળે પહોંચી કામગીરી કરી રહી છે. ખાવડી નજીક રિલાયન્સ મોલમાં આગ લાગ્યાની ઘટના બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી રાત્રિના 1.00 વાગ્યા બાદ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું. અનંત અંબાણી હાલ જામનગર જ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે રિલાયન્સના વાઇસ ગ્રુપ પ્રેસિડન્ટ ધનરાજ નથવાણી સહિતના રિલાયન્સના અનેક અધિકારીઓ ઘટનાસ્થળ પર હાજર જોવા મળ્યા હતા.
રિલાયન્સના પ્રવક્તાના જણાવ્યાં અનુસાર, મોટી ખાવડીમાં આવેલા રિલાયન્સ મોલમાં દિવસનું કામકાજ પૂર્ણ કરીને મોલ બંધ થયા બાદ આગ લાગી છે. તેમાં કોઇ જાનહાની થઈ નથી કે કોઇને ઇજા પણ થઈ નથી. આર.આઇ.એલ.ના ફાયર ટેન્ડરની સાથે જામનગર ડિસ્ટ્રીક્ટ ઓથોરીટી અને ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેઓ આગને કાબુમાં લાવવા પ્રયાસ કરી રહ્યા છે. આગના કારણની તપાસ કરવામાં આવશે. 30થી વધુ ફાયર ફાઈટર દ્વારા આગને કાબુમાં લેવાની કામગીરી કરવામાં આવી હતી. ખંભાળિયા નગરપાલિકા, રાજકોટ, જામનગર જીએસએફસી રિલાયન્સ ન્યારા સહિતની આસપાસના વિસ્તાર તેમજ કંપનીઓની ફાયર બ્રિગેડની ટીમ રિલાયન્સ મોલ ખાતે આગને કાબુમાં લેવા પ્રયત્નો કર્યા હતા. 15થી વધુ 108 એમ્બ્યુલન્સ તથા આસપાસની કંપનીઓ તેમજ વિસ્તારોમાંથી મેડિકલ ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી.
જી.જી. હોસ્પિટલમાં મેડિકલ ટીમ સ્ટેન્ડબાય
જામનગરની જી.જી હોસ્પિટૅલમાં રિલાયન્સ મોલમાં ભયંકર આગ લાગતા તકેદારી રાખવા માટે મેડીકલ ટીમ, નર્સિંગ સ્ટાફ, તેમજ સર્કલ વિભાગના સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં હતા અને કોઈ ઈજાગ્રસ્ત થાય તો તકેદારીના ભાગરૂૂપે સારવાર માટે બેડ પણ તૈયાર રાખવામાં આવ્યાં હતા.
મોલની બાજુમાં સિનેમા હોલને ખાલી કરાયો
રિલાયન્સ મોલમાં આગ લાગતાની સાથે જ બાજુની બિલ્ડિંગમાં આવેલા સિનેમા હોલમાં મૂવી ચાલી રહ્યું હતું. જેમાં 15 જેટલા લોકો આવ્યાં હતા અને 13 જેટલો સ્ટાફ સિનેમા ઘરની અંદર હતો. કુલ મળીને 28થી વધુ લોકો હતા જેઓને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જેથી સદનસીબે કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી.
રાજકોટથી ગયેલ બે ફાયર ફાઈટરની ગાડી સવારે પરત ફરી
જામનગરના ખાવડી સ્થિત રિલાયન્સ મોલમાં આગ લાગવાના સમાચાર મળતાં જ રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમિન ઠાકરે તાત્કાલિક બે ફાયર ફાઈટર જામનગર મોકલવા ચીફ ફાયર ઓફિસર આઈ વી ખેરને સૂચના આપી હતી. ચેરમેન જયમિન ઠાકરે જણાવ્યું હતું કે, બે ફાયર ફાઇટર મોકલવામાં આવેલ છે અને વધુ ફાયર ફાઇટર મોકલવાની આવશ્યકતા જણાશે તો એ માટે પણ રાજકોટ મહાનગરપાલિકા તૈયાર છે. રાત્રીના ગયેલ બન્ને ફાયરફાયટરની ગાડી વહેલી સવારે રાજકોટ રત રી હતી મોલ સંપૂર્ણ પણે આગમાં ખાક થઈ ગયેલ હોવાથી આગ બુઝાવી ગાડીઓ રત આવ્યાનું ચેરમેને જણાવ્યું હતું.