શનિ-રવિમાં વેરા વસૂલાત ચાલુ રખાતા મનપાને રૂા.96.58 લાખની રીકવરી
- માર્ચ મહિનામાં રજાના દિવસે કામગીરી ચાલુ રાખવાના કમિશનરના નિર્ણયથી મોટી આવક
રાજકોટ મહાનગરપાલિકાની આવકનો મુખ્ય સ્ત્રોત મિલકત વેરો છે. જેનો નાણાકીય વર્ષ 2023-24માં 400 કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જોકે આ ટાર્ગેટ પૂર્ણ થવો અઘરો હોવાથી વેરા વિભાગ દ્વારા રાજાઓમાં પણ વસૂલાત ચાલુ રાખવામાં આવી છે. જે અંતર્ગત શનિ-રવિ બે દિવસમાં 61 મિલકત સીલ કરી 67ને નોટિસ આપીને 96.58 લાખ વસૂલ્યા હતા. આ વસૂલાત સાથે કુલ આંકડો 336.97 કરોડ ઉપર પહોંચ્યો છે. હાલ નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો હોય આગામી રજાઓમાં પણ વેરા વસૂલાતની કામગીરીને યથાવત રાખવામાં આવે તેવી શક્યતા છે.
મળતી માહિતી અનુસાર મનપા કમિશનર દ્વારા વેરાનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે શનિ-રવિવારે પણ વેરા વસૂલાત ચાલુ રાખવા આદેશો અપાયા હતા. જેને લઈ રજાઓમાં પણ શહેરમાં આવેલી મનપાની તમામ કચેરીઓ તેમજ બધા સિવિક સેન્ટરો ખાતે વેરા વસૂલાતની કામગીરી કરવામાં આવી હતી. તેમજ ઓનલાઈન વસુલાત અને મનપાની ટીમો દ્વારા 50 હજારથી વધુ વેરો બાકી હોય તેવા નાગરિકો પાસેથી વેરો વસૂલવા જુદી-જુદી ટીમો બનાવી કામગીરી કરવામાં આવી હતી. જેમાં માત્ર 2 દિવસમાં જ વધુ 61 મિલકત સીલ કરી અને 67ને નોટિસ આપી 96.58 લાખ વસૂલ્યા હતા. જેને પગલે કુલ આંકડો 336.97 કરોડે પહોંચ્યો છે.
આજે 15 મિલકતોને જપ્તીની નોટિસ અને 57.30 લાખની રિકવરી
રાજકોટમાં આજે અલગ અલગ વોર્ડમાં બાકીવેરા બાબતે 15 મીલ્કતોને ટાંચ જપ્તીની નોટીસ આપવામાં આવી હતી અને 25 મિલ્કતોને સીલ મારવામાં આવ્યા હતાં. આજે ચુનારાવાડ રોડ પર રાજકોટ મહાજન પાંજરાપોળમાં શોપ નં. 1 ખાતે સીલની કાર્યવાહી કરતા 4.74 લાખની રિકવરી થઈ હતી. આ ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારોમાં 25 મિલ્કતોને સીલ કરવામાં આવી હતી. અને 97.30 લાખની રિકવરી કરવામાં આવી હતી.